Gujarat Rain Update: સુરત જિલ્લામાં ગાજવીજ સાથે ફરી વરસાદ શરુ થયો છે. ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. માંગરોળ તાલુકાના કોસંબા વિસ્તારમાં બરફના કરા પડ્યા છે. એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ શરુ થયો હતો. ઉમરપાડાના ઝંખવાવ, રેતા વિસ્તારમાં વરસાદ પડતા ઠંટક પ્રસરી છે. જ્યારે માંગરોળના કોસંબા, તરસાડી, કુવારડા સહિતના વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યો છે.


 



વડોદરાના કરજણના પશ્ચિમ વિસ્તારના બોડાકા, કંબોલા, સાપા, કરમડી, માંગરોલ, કણભા, ચોરભુજ સહિતના ગામડાઓમાં ગઈકાલે પવન, કરા સાથે પડેલા વરસાદને લઇ ખેડૂતોના ખેતીપાકને પારાવાર નુકસાન થયું છે. એરંડા, તુવેર, ઘઉં સહિતના ખેતીપાકોને નુકસાન થયું છે. તૈયાર થયેલા એરંડાનો પાકને ભારે નુકસાન થયું છે.




કમોસમી વરસાદના કારણે મસાલાના ભાવ આસમાને પહોંચ્યા

કમોસમી વરસાદના કારણે મરચું, ધાણા અને જીરુંના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. મસાલાના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલમાં મસાલા ભરવા માટેની સિઝન છે. ગૃહિણીઓ દ્વારા બાર મહિનાનો મસાલો લેવા આવે છે. ત્યારે જમસાલાના ભાવમાં 35 થી 40% જેટલો વધારો થયો છે. એક બાજુ દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચ્યા છે. મસાલાના ભાવ પણ આસમાને પહોંચતા ગૃહિણીઓની અને મધ્યમ વર્ગના લોકોને મુશ્કેલીઓ વધી છે.










1 લાખ 44 હજાર 500 હેક્ટર જમીનમાં રવિ પાકોનું વાવેતર

સાબરકાંઠા જિલ્લામાં રવિ સીઝન દરમિયાન ખેડૂતોએ 1 લાખ 44 હજાર 500 હેક્ટર જમીનમાં રવિ પાકોનું વાવેતર કર્યું હતું જે પૈકી 86 હજાર હેક્ટરમાં ઘઉં,25 હજાર હેક્ટરમાં બટાકા અને 5000 હેક્ટરમાં તમાકુ જેવા રવિ પાકોનું ખેડૂતોએ વાવેતર કર્યું હતું. વાવેતર બાદ ત્રણ ત્રણ વાર કમોસમી વરસાદ વરસવાની લઈ ખેડૂતોએ વાવણી કરેલા પાકોમાં નુકસાન થવા પામ્યું છે. ખેડૂતોએ વાવણી કરેલા ઘઉંના પાક પવન સાથે વરસેલા વરસાદના કારણે જમીન દોસ્તો થયા છે જેના કારણે ઉત્પાદન માં ઘટ આવશે સાથે જ ગુણવત્તા પણ જળવાશે નહીં જેના કારણે ખેડૂતોએ એક વીઘા દીઠ 12 થી 15 હજાર રૂપિયા જેટલો ખર્ચ કરેલો છે તે ખર્ચ જેટલું પણ ઉત્પાદન મળવાની આશા ના હોવાની ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ ખેડૂતો સરકાર પાસે નુકસાનીનું વળતર ની માગ કરી રહ્યા છે.




પંચમહાલમાં વીજ પોલ તૂટી પડ્યા

પંચમહાલમાં ગઈ કાલે ગોધરા સહીત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન ફુંકાતા વીજ પોલ તૂટી પડ્યા હતા.  તો કેટલાંક વિસ્તારોમાં ઝાડ પડવાની અને છાપરા ઉડવાની ધટના બનવા પામી છે. ભારે મહેનત કરી ખેડૂતે કરેલા ઉનાળું સીઝનનો પાક બરબાદ થયો છે. માવઠાને કારણે ડાંગર, ઘઉં, બાજરી જુવાર, મગ, ઘાસચારા સહિતના ઉભા પાકમાં ભારે નુકશાન થયું છે.  જીલ્લામાં અંદાજિત 11 હજાર હેકટરમાં ઉનાળુ સિઝન પાક લેવામા આવે છે.