સુરત : રાજ્યમાં કોરોના વાયરસ (Gujarat Corona Cases)  અટકવાનું નામ નથી લઈ રહ્યો. કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે, જેમાં અમદાવાદ અને સુરતની હાલત સૌથી ખરાબ છે. ગઈકાલે અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) જાહેરાત કરી હતી કે, કોરોનાના દર્દીઓને બેડને લઈને કોઇ તકલીફ ન થાય તે માટે ગાંધીનગર ખાતે ટાટાના સહયોગથી 1200 બેડની હોસ્પિટલ આવનારા સમયમાં તૈયાર કરવામાં આવશે. આ કોવિડ હોસ્પિટલ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે તૈયાર કરાશે. જેનો તમામ ખર્ચ ટાટા ટ્રસ્ટ (Tata Trust) ઉઠાવશે. ઘરમાં આઈસોલેશન શક્ય ન હોય તેમના માટે પણ રાજ્ય સરકાર વ્યવસ્થા કરશે.


ટાટા ટ્રસ્ટની આ પહેલના ચારે તરફ વખાણ થઈ રહ્યા છે. હીરા ઉદ્યોગકાર ગોવિંદભાઈ ધોળકીયાએ (Govindbhai Dholkia) રતન ટાટાને (Ratan Tata) સાચા અર્થમાં રતન ગણાવ્યા હતા. તેમણે સાચા અર્થમાં સેવા કાર્ય કર્યુ હોવાનું કહ્યું હતું. ઉપરાંત મોટી મોટી કંપનીઓ પણ આગળ આવે તેવી હાકલ કરી હતી. રાષ્ટ્રને મુશ્કેલી ઉભી થઇ છે તેમાં મદદરૂપ થવા તમામ ઉદ્યોગકારોએ આગળ આવવું જોઈએ તેમ કહ્યું હતું.


ગુજરાતમાં શું છે ચિત્ર


શુક્રવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 13,804 કેસ નોંધાયા હતા અને 142 લોકોના મોત થયા હતા. ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક મૃત્યુઆંક 6019 પર પહોંચ્યો છે.   રાજ્યમાં આજે 5618 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધી 3,61,493 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 100128 પર પહોંચ્યો છે. જેમાંથી 384 લોકો વેન્ટિલેટર પર અને 99744 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 77.30 ટકા છે. 


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 92,15,310 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 17,86,321  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ 1,10,01,631 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.