વલસાડઃ ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી પછી કોરોનાના દૈનિક કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે, જેને કારણે તંત્ર પણ ચિંતિત બન્યું છે. આ સાથે ગુજરાતની સ્કૂલોમાં ફરી એકવાર સંક્રમણ વધતાં વાલીઓની ચિંતામાં વધારો થયો છે. વલસાડની ત્રણ શાળામાં ત્રણ બાળકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. વલસાડ જિલ્લાના વલસાડ, પારડી અને વાપીની શાળામાં એક એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા છે. પારડીની શાળામાં ધો.12ની વિદ્યાર્થી પોઝિટિવ આવતા અન્ય 50 બાળકોનું પણ RTPCR ટેસ્ટિંગ કરાયું હતું. હાલ અન્ય સૂચના ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓને શાળામાં ન આવવા જણાવાયું છે.


સુરતની વધુ 2 સ્કૂલોમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. પીપી સવાણી સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. પીપી સવાણીમાં બંને વિદ્યાર્થીઓ ધોરણ 10માં અભ્યાસ કરે છે. પીપી સવાણીમાં 380 લોકોનું ટેસ્ટિંગ કરાયું હતું. તમામ નેગેટિવ આવ્યા છે. ફાઉન્ટેન હેડ સ્કૂલમાં 1 વિદ્યાર્થી અને 1 શિક્ષક કોરોના પોઝિટિવ આવતાં 147 લોકોનું ટેસ્ટિંગ કરાયું. જોકે, તમામ નેગેટિવ આવ્યા છે. સલામતીના ભાગરૂપે વર્ગો બંધ કરાયા છે. 


આ સિવાય રાજકોટના જેતપુર તાલુકામાં સ્કૂલના વિદ્યાર્થીમાં કોરોનાનો પગ પેસારો થયો છે. જેતપુરના અમરનગર સરકારી સ્કૂલમાં વિધાર્થીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમરનગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધોરણ 2 માં અભ્યાસ કરતા બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. DEOએ જેતપુરની અમરનગરની સ્કૂલને સોમવાર સુધી બંધ રાખવા આદેશ આપ્યા છે. જેતપુર હેલ્થ તંત્ર દ્વારા શિક્ષકો સહિત તમામ લોકોના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. 


છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે.    છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 98  કેસ નોંધાયા છે.  બીજી તરફ 69  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,198  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.70 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 3 મોત થયા છે. આજે 1,75,539  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 32, સુરત  કોર્પોરેશન 18, વડોદરા  કોર્પોરેશનમાં 10, રાજકોટ કોર્પોરેશન 7,  કચ્છ 6, વલસાડ 5, ખેડા 3,  રાજકોટ 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, જૂનાગઢ કોર્પોરેશનમાં 2, નવસારી 2,  સાબરકાંઠા 2,  વડોદરા 2, ભાવનગર કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1, જામનગર કોર્પોરેશન 1 અને સુરતમાં 1 નવો કેસ નોંધાયો હતો.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 694  કેસ છે. જે પૈકી 8 વેન્ટીલેટર પર છે, જ્યારે 686 નાગરિકો સ્ટેબલ છે. 8,18,198 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10111 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે અમદાવાદ કોર્પોરેશન 1,  જામનગર કોર્પોરેશનમાં 1 અને પોરબંદરમાં 1 મોત થયું છે. 







બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 3 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 506 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 5428 લોકોને પ્રથમ અને 41887 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 17788 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 109927 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,75,539 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,80,73,273 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.