સુરત: ભારે વરસાદને કારણે સ્પાઈસ જેટની ભોપાલ-સુરતની ફ્લાઈટ સુરત કસ્ટમ એરપોર્ટના રન-વે પરથી સ્લીપ ખાતાં સીધી જ રન-વે એન્ડ સેફ્ટી એરિયામાં જ ઊતરી ગઈ હતી. તસવીરો જોતાં એવું લાગે છે કે ફ્લાઈટ જાણે સીધા ખેતરમાં દોડવા લાગ્યું હોય. જોકે એવું નથી.

આ ઘટના બનતાની સાથ ફ્લાઈટમાં બેઠેલા 47 મુસાફરો, બે પાયલોટ અને ચાર ક્રૂ મેમ્બરના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ઘટના બનતાની સાથે જ મુસાફરો બૂમાબૂમ કરી મુતી હતી. ઘટનાને પગલે રન-વેને બંધ કરી દેતાં ત્રણથી વધુ ફ્લાઈટોને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.

એરપોર્ટ સૂત્રોના પ્રમાણે, સ્પાઈસ જેટની ફ્લાઈટ નંબર એસજી-3722 ભોપાલ એરપોર્ટથી રવિવારે સાંજે 6:55 કલાકે ટેકઓફ થઈને સુરત કસ્ટમ એરપોર્ટ પર 8:55 કલાકે લેન્ડ કરી રહી હતી પરંતુ સુરતમાં ધોધમાર વરસાદને કારણે પાયલોટે ફ્લાઈટને રન-વેની વચ્ચે જ લેન્ડ કરી દીધી હતી.

લેન્ડિંગ સમયે ફ્લાઈટ સ્પીડમાં હોય અને વરસાદને પગલે રન-વે ભીનો હોવાથી પાયલોટે બ્રેક મારતાં ફ્લાઈટના ટાયર સ્લીપ થતાં સીધા જ રન-વે એન્ડ સેફ્ટી એરિયામાં જતી રહી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની તો થઈ નથી પરંતુ મુસાફરોએ ફ્લાઈટમાં બચાવો બચાવોની બૂમાબૂમ કરી મુકી હતી.