Gujarat assembly election 2022: સુરતમાં આમ આદમી પાર્ટીની સભામાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. કતારગામમાં લલિતા ચોકડી પાસે આમ આદમી પાર્ટીની જનસભામાં કોઈએ પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યું છે. આ પથ્થરમારામાં એક નાના બાળકને આંખ ઉપર પથ્થર વાગી જતા ઈજા થઇ છે. હાલમાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને મામલો થાળે પાડવાની તજવીજ હાથ ધરી છે. જો કે આ પથ્થરમારો કોણે કર્યો તે હજુ સામે આવ્યું નથી. આ અંગે પોલીસે તપાસ આરંભી છે. 


 




તો બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આ અંગે એક ટ્વિટ પણ કર્યું છે. જેમાં તેમણે બીજેપી પર આરોપ લગાવ્યા છે. તેમણે લખ્યું કે, કતારગામ વિધાનસભાની ચૂંટણી હારવાના ડરથી ભાજપના ગુંડાઓએ આજે ​​મારી જાહેર સભા પર પથ્થરમારો કર્યો હતો, જેમાં પથ્થરમારાને કારણે એક નાનું બાળક ઘાયલ થયું હતું. જો અમે 27 વર્ષમાં થોડું કામ કર્યું હોત તો આજે આમ આદમી પાર્ટીની જાહેર સભામાં પથ્થર ફેંકવા ન પડત. ભાજપના પથ્થરબાજોને જનતા ઝાડુથી જવાબ આપશે.


જાણો ભાજપના ચૂંટણી ઢંઢેરા અંગે ગોપાલ ઈટાલીયાએ શું આપી પ્રતિક્રિયા


સુરત મહિધરપુરા હીરા બજારમાં આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની,આપ નેતા અલ્પેશ કથીરીયાએ ચૂંટણી સભા યોજી હતી ભાજપ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી ઢંઢેરા વિશે ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યા છે ચૂંટણી ઢંઢેરો નથી પણ આ કોપી પેસ્ટ છે. 


વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે જ્યારે સુરત મહીધરપુરા હીરા બજારમાં કતારગામ, કરંજ, વરાછા, સુરત ઉત્તર વિધાનસભા બેઠકના ચારે ઉમરેદારોએ સભા યોજી હતી. સભાને સાંભળવા મોટી સંખ્યામાં લોકોની લીડ ઉમડી હતી. સભાને સંબોધતા ગોપાલ ઇટાલીયાએ ભાજપ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી ઢંઢેરા પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણી ઢંઢેરો નથી પણ આ કોપી પેસ્ટ છે. આ લોકોએ ઢંઢેરામાં કહ્યું કે, મહિલાઓ અને બાળકોને બસમાં મુસાફરી ફ્રી. કેજરીવાલ સાત વર્ષથી દિલ્હીમાં આ સુવિધા આપે છે. હાલ જાહેર કર્યું કે, 7 મેડિકલ કોલેજ બનાવશે. 27 વર્ષ દરમ્યાન કેમ યાદ ન આવ્યું. અમે આપેલા વચનોને આ લોકોએ જાહેર કર્યા છે, Eને ચૂંટણી ઢંઢેરો ના કહેવાય.


સાવરકુંડલામાં ભાજપને મોટો ફટકો


ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન સાવરકુંડલામાં ભાજપને મોટો ફટકો લાગ્યો છે. સાવરકુંડલાના પૂર્વ કોર્પોરેટર સોનલબેન આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. સુરતમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેઓ આપના વરાછા બેઠકના ઉમેદવાર અલ્પેશ કથીરિયાની હાજરીમાં આપમાં સામેલ થયા હતા. અલ્પેશ કથીરિયાએ ખેસ અને ટોપી પહેરાવી તેમને પાર્ટીમાં સામેલ કર્યા હતા.


ભાજપના નેતાએ કહ્યું, હું ક્યારેય કાંઈ બોલતો નથી જે કરવાનું હોય છે એ કરી ને બતાવું છું  


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન ભાવનગર ખાતે જીતુ વાઘાણીના સમર્થનમાં યોજાયેલી સભામાં પરસોત્તમ સોલંકીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, હું ક્યારેય કાંઈ બોલતો નથી, જે કરવાનું હોય છે એ કરીને બતાવું છું. પરસોત્તમ સોલંકીએ ભૂતકાળમાં તેમની સામે હારેલા કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલનું નામ લઈને કહ્યું કે તમારે કચ્છ જતું રહેવું પડ્યું હતું. ભૂતકાળમાં તમે લોકોએ અમને ખૂબ પરેશાન કર્યા છે એ તમામ જાણે છે. પરસોત્તમ સોલંકી મુંબઈથી ભાવનગર આવ્યો એટલે તમારે લોકોને ભાગી જવું પડ્યું. 27 વર્ષની રાજકીય કારકિર્દીમાં પહેલી વખત શક્તિસિંહનું નામ મેં જાહેરમાં લીધું છે, મારે જે કરવું હતું એ કરીને મેં બતાવી દીધું છે.