સુરતમાં મોડી રાત્રે થયેલા તોફાન બાદ હાલમાં સ્થિતિ અંકુશમાં આવી ગઇ છે. મળતી જાણકારી અનુસાર, રવિવારે મોડી સાંજે સુરતમાં સૈયદપુરા વિસ્તારના ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારા બાદ સ્થિતિ વણસી હતી. રાતભર પોલીસે કરેલા પ્રયાસથી સુરતના તમામ વિસ્તારોમાં શાંતિ છે. ત્રણ સગીરોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યાનો આરોપ લાગ્યો હતો. પથ્થરમારા બાદ ગુસ્સે થયેલા લોકોએ સૈયદપુરા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. સતત એક કલાક સુધી ગણેશ ભક્તોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સુરત પોલીસે પાંચ પથ્થરબાજો સહિત 25 અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવી છે. 






કેટલાક લોકોએ વાહનોમાં તોડફોડ કરી આગજનીનો પણ પ્રયાસ કર્યો હતો. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચના અને સતર્કતા સાથે પોલીસે સ્થિતિ સંભાળી હતી. શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પણ નિર્દેશ આપ્યા હતા. 1 હજાર જેટલા પોલીસ કર્મચારીઓએ સૈયદપુરા સહિતના વિસ્તારોમાં રાતભર કોમ્બિંગ કર્યું હતું. પથ્થરબાજો ધરપકડથી બચવા માટે દરવાજો લોક કરીને ઘરમાં છૂપાયા હતા. પોલીસે ઘરના તાળા તોડીને તોફાનીઓની અટકાયત કરી હતી. સ્થિતિ અંકુશમાં આવ્યા બાદ રાત્રિના બે વાગ્યે હર્ષ સંઘવી ગણેશ પંડાલ પર પહોંચ્યા હતા. હર્ષ સંઘવી, સુરતના મેયર અને પોલીસ કમિશનરે મોડી રાત્રે આરતી કરી હતી.






આ વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવશે. કોઈપણ પ્રકારની ખોટી અફવામાં લોકો ન આવે અને વિશ્વાસ ન કરે તેવી પોલીસે અપીલ કરી હતી. કોઈપણ લોકો પાસે ઘટનાના વિડિયો હોય તો પોલીસને આપે તેવી પણ અપીલ કરાઇ છે.


સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાથી બબાલ, સ્થિતિ તણાવપૂર્ણ, અનેક વાહનોમાં તોડફોડ