સુરત: જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. કામરેજ નજીક ધોરણ-પારડી પાસે આવેલા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના 80 લોકો કોરનાથી સંક્રમિત થયા છે. એકસાથે 80 લોકો કોરોનાની ચપેટમાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે. જોકે આશ્ચર્યની વાત તો એ છે કે આરોગ્ય વિભાગના ચોપડે માત્ર 22 કેસ જ નોંધાયા છે.


80 પૈકીના 20 લોકોને સુરત સિવીલ હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરાયા છે. જ્યારે અન્ય 60 લોકોને ચેરિટેબલ ટ્રસ્ટના મકાનમાં આઈસોલેટ કરાયા છે. માનવ ચેરિટેબલ ટ્રસ્ટમાં 227થી વધુ આશ્રિતો આશરો લઈ રહ્યા છે. શુક્રવાર અને શનિવારના આશ્રિતોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા. રેપિડ ટેસ્ટમાં બે દિવસમાં 80 લોકો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશનમાં 168 અને સુરતમાં 59 મળી કુલ 227 કેસ નોંધાયા હતા. સુરત કોર્પોરેશનમાં 169 અને સુરતમાં 74 મળી કુલ 243 લોકોએ કોરોનાને હરાવ્યો હતો. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,72,944 પર પહોંચી છે અને કુલ મૃત્યુઆંક 3719 પર પહોંચ્યો છે.