Surat:  સુરતમાં આમ આદમી પાર્ટી (આપ)ના કોર્પોરેટરની  દાદાગીરી સામે આવી છે. મળતી જાણકારી અનુસાર, આપના કોર્પોરેટર વિપુલ સુહાગીયા પર સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા વ્યક્તિને તમાચો મારવાનો આરોપ લાગ્યો છે. કોર્પોરેટર વિપુલ સુહાગીયા વિરૂદ્ધ કર્મચારીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે વિપુલ સુહાગીયાની ધરપકડ કરતા આપ કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો.



                                                        


સમગ્ર ઘટનાને લઈ જાણ થતા આપના કાર્યકર્તાઓએ વરાછા પોલીસ સ્ટેશન બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.  સાથે જ રામધૂન બોલાવી કોર્પોરેટરને છોડવાની માંગ કરી હતી. જો કે પોલીસે કેટલાક વિરોધ કર્તાઓની અટકાયત કરી હતી.  આ સમયે કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. વરાછા પોલીસ સ્ટેશન બહાર વિરોધ કરનારા તમામ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તેમજ કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી. આપના કાઉન્સિલર સહીત 50 થી 60 કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી.                             


નોંધનીય છે કે ફરિયાદી રાહુલ ચેતનભાઈ પટેલ(23)સ્મીમેર હોસ્પિટલમાં આઉટસોર્સ કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. રાહુલે કોર્પોરેટર વિપુલ સુહાગીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે અનુસાર, બુધવારે રાહુલ તેની ફરજ પર હાજર હતો અને દર્દીઓને આયુષ્માન કાર્ડની માહિતી આપતો હતો. દરમિયાન આપના કોર્પોરેટર વિપુલ સુહાગીયા ગુસ્સામાં ત્યાં પહોંચ્યા હતા અને કહ્યું હતું કે તું મારા માણસને લાઈનમાં ઉભો રાખે છે તેનું કામ કેમ કરી નથી આપતો તેવું કહી તમાચો માર્યો હતો. રાહુલને કાનામાં દુ:ખાવો થતા તેણે સારવાર લીધી હતી અને આખરે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વિપુલ સુહાગીયાએ કહ્યું હતું કે એક દર્દીનો મારી ઉપર ફોન આવ્યો હતો જેથી મે ફોન પર વાત કરાવવા કહ્યું હતું. પરંતુ કર્મચારીએ વાત કરી ન હતી. હું પહોંચ્યો ત્યારે તેણે તેનું કામ ન હોવાનું જણાવ્યું હતું. દર્દીનું કામ કરતો ન હતો એટલે મે તેને તમાચો મારી દીધો હતો.