Surat Corona Cases: રાજ્યમાં છેલ્લા થોડા સમયથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં હોટ સ્પોટ અને ડેથ સ્પોટ રહેલા સુરત શહેરમાં એક વિદ્યાર્થી સહિત વધુ ત્રણ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયા છે. ડભોલીના યુવકને કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્રણ લોકો સંક્રમિત થતાં સુરત આરોગ્ય વિભાગ દોડતું થયું છે.


અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધવાની સાથે ઈન્ફલુએન્ઝાના એચ.થ્રી.એન.ટુ વાયરસના દસ કેસ નોંધાતા મ્યુનિ.હેલ્થ વિભાગને એલર્ટ મોડ ઉપર મુકવામાં આવ્યુ છે.શહેરના જોધપુર ઉપરાંત  બોડકદેવ, નવરંગપુરા, વેજલપુર અને મકતમપુરામાં દસ કેસ નોંધાતા મ્યુનિ.ની એસ.વી.પી. ઉપરાંત એલ.જી.હોસ્પિટલમાં આ વાયરસના ટેસ્ટ માટે મ્યુનિ.ના હેલ્થ વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.


અમદાવાદમાં આ વર્ષે જાન્યુઆરીથી ૬ માર્ચ સુધીના સમયમાં સ્વાઈન ફલૂના કુલ ૪૩ કેસ નોંધાયા છે.શહેરમાં કોરોના સંક્રમણ વધવાની સાથે ઈન્ફલુએન્ઝાના નવા વાઈરસના જોધપુર વોર્ડમાં ત્રણ કેસ,બોડકદેવ વોર્ડમાં બે કેસ ,નવરંગપુરા વોર્ડમાં બે કેસ નોંધાવા પામ્યા છે.ઉપરાંત મકતમપુરા અને વેજલપુર વોર્ડમાં આ વાઈરસનો અનુક્રમે એક-એક કેસ  સહિત અત્યાર સુધીમાં કુલ દસ કેસ આ વાઈરસના સામે આવ્યા છે.આ તમામના ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં કરવામાં આવ્યા હતા.શહેરમાં આવેલા મ્યુનિ.ના અર્બન હેલ્થ સેન્ટરમાં એક પણ કેસ નોંધાયો નથી.


આ વાયરસ અત્યંત ચેપી છે.ઉધરસ કે છીંક ખાતી વખતે તે અન્યને ચેપ લગાડે છે.ચેપગ્રસ્ત વ્યકિતની અત્યંત નજીક જવાથી પણ ચેપ લાગવાનો ખતરો રહે છે.આ વાઈરસથી બચવા તમામ લોકોએ માસ્ક પહેરવો,વારંવાર સાબુથી હાથ ધોવા ઉપરાંત જાહેર સ્થળોએ થૂંકવાનુ ટાળવુ તેમજ ડોકટરની સલાહ વગર કોઈ પણ પ્રકારની દવા લેવી નહીં.


શું છે આ વાયરસના લક્ષણો


ઈન્ફલુએન્ઝાના નવા વાયરસના લક્ષણોમાં દર્દીને ઠંડી લાગવી કે પછી કફ આવવો કે તાવ આવવા જેવા લક્ષણ જોવા મળતા હોય છે.કેટલાક કીસ્સામાં ઉબકા આવવા, નાક ગળવુ કે છીંક આવવી અથવા તો ઝાડા થવા  જેવા લક્ષણ પણ જોવા મળતા હોય છે.ખોરાકને ઉતારવામાં તકલીફ થતી હોય એમ જણાય એવા સમયે નજીકના ડોકટરનો સંપર્ક કરવો.


શહેરમાં કોરોના વેકિસનનો બુસ્ટર ડોઝ લેવા અંગે લોકોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે.શહેરમાં કોરોના વેકિસન માટે ૫૨ લાખથી વધુ લોકોનો મ્યુનિ.તંત્રે ટારગેટ નકકી કર્યો છે.આ સામે અત્યારસુધીમાં માત્ર 10 લાખથી વધુ લોકોએ જ કોરોના વેકિસનનો બુસ્ટર ડોઝ લીધો છે.શહેરમાં ૮૦થી વધુ મ્યુનિ.ના અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર આવેલા છે જયાં માત્ર જેમને દેશના અન્ય રાજયમાં કે વિદેશ જવાનુ હોય એવા લોકો જ વેકિસનનો બુસ્ટર ડોઝ લેવા પહોંચતા હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.