સુરતઃ ગુજરાતમાં કોરોનાએ (Surat Corona Cases) વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં સુરત અને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર છે. ડાયમંડ સિટી (Diamond City) તરીકે ઓળખાતા સુરતમાં  છેલ્લા 15 દિવસમાં કોરોના બેકાબૂ બનતા 5370 વ્યક્તિને ભરડામાં લીધા છે. જેમાં 24 વ્યક્તિના  મોત થયા છે. આ પંદર દિવસમાં ૩૭૦૬ વ્યક્તિ કોરોના સામેની જંગ જીતી છે.


સુરત શહેરમાં ચૂંટણી બાદ કોરોના કેસમાં ધાણીફૂટ વધારો નોંધાયો છે. સુરતમાં સતત બીજા દિવસે 600થી વધારે કેસ નોંધાયા છે. મેયર (Surat Mayor) હેમાલીબેન બોઘાવાલા (Hemali Boghawala) શનિવારે કોરોનાગ્રસ્ત થયા હતા. પહેલા તેમણે રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. તે નેગેટીવ આવતા આરટીપીસીઆર કરાવ્યો જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સુરત ભાજપના બીજા 4 કોર્પોરેટર પણ પોઝિટિવ આવ્યા છે. બે દિવસ પહેલા માસ્ક ન પહેરનારા સામે દંડ નહીં લેવાય તેવી વિવાદીત જાહેરાત કરી હતી.



મેયર સિવાય કોણ કોણ આવ્યું કોરોનાની ઝપેટમાં


મેયર ઉપરાંત ભાજપના કોર્પોરેટર્સ રાજન પટેલ, હિમાંશુ રાઉલજી, ગૌરી સાપરિયા અને મનીષા મહાત્માના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના નગર સેવક કે.કે ધામી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓ વોર્ડ નંબર ૫ ના નગર સેવક છે. . સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ અંકુશમાં આવવાનું નામ નથી લઈ રહ્યું. આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રયાસો કરવા છતાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે.


 


સુરતમાં ત્રણ દિવસમાં 1700થી વધુ કેસ


સુરતમાં સતત બીજા દિવસે 600થી વધારે કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ જ દિવસમાં જ સુરતમાં કોરોનાના (Surat Corona Cases) 1700થી વધારે નવા કેસ નોંધાયા છે. સુરતમાં સતત આઠમા દિવસે 400થી વધારે કેસ નોંધાયા હતા.


શનિવાર, 27 માર્ચે 607


શુક્રવાર, 26 માર્ચે 609


ગુરુવાર, 25 માર્ચે, 501


બુધવાર, 24 માર્ચે 480


મંગળવાર, 23 માર્ચે 476


સોમવાર, 22 માર્ચે 429


રવિવાર, 21 માર્ચે 405


શનિવાર, 20 માર્ચે 381


સુરતમાં કોરોનાથી ૧ હજારના મૃત્યુ


સુરતમાં કોરોનાથી કુલ મરણાંક હવે ૧ હજાર થઇ ગયો છે. અમદાવાદ બાદ સુરત એવો બીજો જિલ્લો છે જ્યાં ૧ હજારથી વધુના કોરોનાથી મૃત્યુ થયા છે. અમદાવાદમાં ૨,૩૪૨-સુરતમાં ૧,૦૦૦-વડોદરામાં ૨૪૫-રાજકોટમાં ૨૦૪ના કોરોનાથી મૃત્યુ થયા છે.


ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ


 રાજ્યમાં કોરોના સંક્રમણમાં  સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં રેકોર્ડબ્રેક કોરોના વાયરસ (Coronavirus)ના કેસ નોંધાયા છે. શનિવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 2276 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 5 લોકોના કોરોના (Corona)  સંક્રમણથી મૃત્યુ થયાં હતા. શનિવારે રાજ્યમાં 1534 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,83,241 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 10 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 10871 પર પહોંચ્યા છે. જેમાંથી 157 લોકો વેન્ટિલેટર પર અને 10714 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.86 ટકા પર પહોંચ્યો છે.