સુરત : ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. અમદાવાદ પછી સુરતમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ ફેલાઇ રહ્યું છે, ત્યારે પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ કોરોનાને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોરોનાને લઈ સુરત હાઇએલર્ટ પર છે. સુરતમાં 45 દિવસ લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે. સુરતના કેટલાક વિસ્તારોમાં કોરોનાના કેસો ડબ્લિંગમાં વધી રહ્યા છે. ડબ્લિંગ રેટ 3 દિવસનો છે. અઠવા ઝોનમાં ડબ્લિંગ કેસો વધી રહ્યા છે. ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર આપવામાં આવશે.


સુરતમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત સાથે તંત્ર સતર્ક બન્યું છે. સિવિલ હોસ્પિટલમાં 1600 બેડ, 300 icu બેડની વ્યવસ્થા કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. સાથે સાથે દરરોજ 55 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના કેસોમાં ઉછાળો આવતા જિલ્લા કલેકટરે રિવ્યુ બેઠક કરી છે.


સુરતમાં કોરોના કેસ વધતા સિવિલ હોસ્પિટલમાં  તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલના ઓફિસમાં આવતા મુલાકાતીઓ માટે વેકસીનના બંને ડોઝ ફરજિયાત કરી દેવાયા છે. બંને ડોઝ નહિ લેનારાને હોસ્પિટલ ઓફિસમાં પ્રવેશ નહિ આપવામાં આવે. ઓફિસ બહાર પોસ્ટર ચોંટાડવામાં આવ્યા છે. 


છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2265 કેસ નોંધાયા છે.  બીજી તરફ 240  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,19,287  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.85 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 2  મોત થયા છે. આજે 8,73,457  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1290 , સુરત કોર્પોરેશનમાં 415,  વડોદરા   કોર્પોરેશનમાં 86 , આણંદ 70, કચ્છ 37,  રાજકોટ કોર્પોરેશનમાં 36, ખેડા 34, ભરુચ 26, અમદાવાદ 24, મોરબી 24, ગાંધીનગર કોર્પોરેશન 23, રાજકોટ 21, ભાવનગર કોર્પોરેશન 18, નવસારી 18, જામનગર કોર્પોરેશન 16, મહેસાણા 14, પંચમહાલ 14, ગાંધીનગર 12, સુરત 9, વલસાડ 9, જૂનાગઢ કોર્પોરેશન 8, વડોદરા 8, જામનગર 7, બનાસકાંઠા 6, સાબરકાંઠા 6, અરવલ્લી 5, ભાવનગર 4, દેવભૂમિ દ્વારકા 4, જૂનાગઢ 4, મહિસાગર 4, અમરેલી 3, ગીર સોમનાથ 3, તાપી 3,  દાહોદ 2, ડાંગ 1 અને સુરેન્દ્રનગરમાં  1  નવો કેસ નોંધાયો છે.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 7881  કેસ છે. જે પૈકી 18 વેન્ટીલેટર પર છે, જ્યારે 7863 નાગરિકો સ્ટેબલ છે. 8,19,287 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10125 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે નવસારી 1 અને ભાવનગરમાં 1 મોત થયું છે. 



 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 24  નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 249 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 8014 લોકોને પ્રથમ અને 36110 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 154685 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 96226 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 8,73,457 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,13,08,830 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.  બોટાદ, છોટા ઉદેપુર,  નર્મદા,  પાટણમાં અને પોરબંદરમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.