સુરતઃ શહેરમાં કોરોના વિસ્ફોટની સ્થિતિનું નિર્માણ થયું છે. એક જ પરિવારમાં એક કરતાં વધુ લોકો સંક્રમિત થવાના કિસ્સા વધ્યા છે. ચાર કરતા વધુ લોકો સંક્રમિત થયા હોય એવા 62 પરિવાર છે. તો ત્રણ પોઝિટિવ કેસ હોય એવા 101 પરિવાર સામે આવ્યા છે. બે પોઝિટિવ કેસ હોય એવા 546 પરિવાર છે. આગામી 15 દિવસ સુરતવાસીઓ માટે અત્યંત કપરા છે. 


કોમોર્બીડ પેશન્ટો રિવર્સ હોમ આઇસોલેશનમાં જ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.કોવિડ 19ની ગાઈડ લાઈનનું પાલન કરવા પાલિકાની અપીલ કરવામાં આવી છે. કોરોનાની ત્રીજી લહેરમાં હેલ્થ વર્કરો મુશ્કેલીમાં મુકાયા છે. નવી સીવીલમાં તબીબો અને નર્સ સહિતનો સ્ટાફ સંક્રમિત થયો છે. 28 રેસિડેન્ટ ડોકટર, 19 નર્સિંગ સ્ટાફ સહિત 74 કર્મીઓ સંક્રમિત થયા છે. 


50 કર્મચારીઓ હાલ આઇસોલેશન હેઠળ છે. નવી સીવીલ દ્વારા કોરોના મહામારી સામે લડવા 3500 સ્ટાફની માંગ કરવામાં આવી. આરોગ્ય વિભાગ પાસે નવી સીવીલ સત્તાધીશો સ્ટાફની માંગણી કરી. 450 તબીબ અને 800 નર્સિંગ સ્ટાફ સહિત 3500 કર્મચારીઓની માંગણી કરવામાં આવી. હાલ કોરોનાના 61 દર્દીઓ નવી સીવીલમાં સારવાર હેઠળ છે. કોરોના વકરે તો ઓછા સ્ટાફથી મુશ્કેલી પેદા થવાની શકયતા.


રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11,176  કેસ નોંધાયા છે. બીજી તરફ 4285  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,36,140 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 93.23 ટકાએ પહોંચ્યો છે.રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  5 મોત થયા. આજે 3,11,217 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3673, સુરત કોર્પોરેશનમાં 2690,  વડોદરા   કોર્પોરેશનમાં 950,  રાજકોટ કોર્પોરેશનમાં 440, વલસાડમાં 337, ગાંધીનગર કોર્પોરેશનમાં 319, ભરૂચમાં 308, સુરતમાં 243, ભાવનગર કોર્પોરેશનમાં 198. જામનગર કોર્પોરેશનમાં 170, નવસારીમાં 155, ગાંધીનગરમાં 134, રાજકોટમાં 133, કચ્છમાં 129, મહેસાણામાં 117, આણંદમાં 103, ખેડામાં 101, વડોદરામાં 97, અમદાવાદમાં 81, પાટણમાં 80, મોરબીમાં 78, બનાસકાંઠામાં 75, ગીર સોમનાથમાં 69, જૂનાગઢ કોર્પોરેશનમાં 68, સુરેન્દ્રનગરમાં 56, અમરેલીમાં 52, સાબરકાંઠામાં 51, જામનગરમાં 46, દાહોદમાં 39, ભાવનગરમાં 38, પંચમહાલમાં 29, દેવભૂમિ દ્વારકામાં 28, મહીસાગરમાં 28, નર્મદામાં 19, જૂનાગઢમાં 17, તાપીમાં 10, અરવલ્લીમાં 5, પોરબંદરમાં 5, છોટા ઉદેપુરમાં 3, ડાંગમાં 2 નવા કેસ નોંધાયા છે. ફક્ત બોટાદ જિલ્લામાં જ એક પણ નવો કોરોનાનો કેસ નોંધાયો નથી.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 50,612  કેસ છે. જે પૈકી 64 વેન્ટીલેટર પર છે, જ્યારે 50,548 નાગરિકો સ્ટેબલ છે. 8,36,140 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,142 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 5  મૃત્યુ થયા. અમદાવાદ કોર્પોરેશનમાં એક, સુરત કોર્પોરેશનમાં એક, વલસાડમાં એક, રાજકોટમાં એક, ભાવનગરમાં એકના મોત થયા હતા.