સુરત : ગુજરાતમાં કોરોના મહામારીના બીજા તબક્કામાં અનેક લોકો રોજે રોજ સંક્રમિત થઈ રહ્યાં છે અને સતત કેસો વધી રહ્યા છે ત્યારે સુરતમાં સમસ્ત પાટીદાર સમાજ આ કોરોનાની મહામારી સામે લડવા આગળ આવ્યો છે. આ કોરોનાની મહામારીમાં અત્યારે જો સૌથી જરૂરી વ્યવસ્થા હોય તો એ આઇસોલેશન વોર્ડની છે. કોરોના દર્દીને મદદ કરવાના હેતુથી સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા કતારગામ-વેડરોડ મેડીકલ એસોસિએશનના સહયોગથી 54 બેડનું કોવિડ કેર આઇસોલેશન સેવા સેન્ટર કતારગામ આંબાતલાવડી સ્થિત સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં શરૂ કરવામાં આવ્યું છે. ઘરના એક સભ્યને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય અને ઘરના અન્ય સભ્યને કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે હેતુસર આ સેન્ટર શરૂ કરાયું છે.


મંગળવારે સવારે 10 કલાકે સુરત મહાનગર પાલિકાના કમિશ્નર બંછાનિધિ પાની, સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના પ્રમુખ વેલજીભાઈ શેટા, ઉપપ્રમુખ કાળુભાઈ ભીમનાથ ગોવિંદભાઇ ધોળકિયા, લાલજીભાઈ પટેલ, મથુરભાઈ સવાણી અને સમાજના અન્ય અગ્રણી,   તમામ સમિતિના વ્યસ્થાપકની અધ્યક્ષતામાં આ વોર્ડને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.


જે દર્દીને ડોક્ટર દ્વારા ઘરે હોમ ક્વોરેન્ટાઇન થવાની સુચના આપી હોય અને દર્દીને ઘરે અલગ રહેવાની સગવડ ના હોય એવા દર્દીઓ તથા હોસ્પિટલમાંથી રજા લીધા પછી ડોક્ટરની દેખરેખની જરૂર હોય તેવા દર્દીઓ  આ આઇશોલેશન વોર્ડમા પ્રવેશ મેળવી શકશે.


આ આઇસોલેશન વોર્ડમાં દર્દીની તપાસ માટે કન્સલ્ટન્ટ 15 ડોક્ટરની ટીમ તેમજ વિઝીટર 15 ડોક્ટરો સાથે કુલ 30 તજજ્ઞ ડોક્ટરોની ટીમ સેવા આપશે. દર્દીઓને દવા પણ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવશે. સાથે સાથે સવારનો ચા નાસ્તો, બે ટાઈમ ભોજન, મિનરલ વોટર અને એનર્જી ડ્રિન્ક પણ આપવામાં આવશે. આ તમામ સુવિધાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવશે.


 આ આઇસોલેશન સેન્ટર પર કોરોનાની સારવાર માટે ઓક્સિજન બેડ, એમ્બ્યુલન્સ, દવાઓ, નર્સિંગ સ્ટાફ, કોવિડ રિપોર્ટ, કોરોના રસીકરણ કેન્દ્ર તથા દર્દીને જમવા સાથેની અનેક સુવિધા સાથેનું કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.   કોરોનાના દર્દીઓ તણાવમુક્ત થાય તે માટે રોજે રોજ અલગ અલગ કાર્યક્રમો યોજી અને એલઇડી સ્કીન દ્વારા મોટીવેટ કરવામાં આવશે.