સુરતઃ  સુરતના અમરોલી વિસ્તારના એક ખેતરમાં અજાણી મહિલાની નિર્દયતાથી હત્યા કરાયેલી હાલતમાં મળેલા મૃતદેહ કેસમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી હતી. પોલીસ માટે હત્યાનો આ કેસ ઉકેલવો પડકારજનક હતો. મૃતક મહિલાની તલાશી લેતા એક ચિઠ્ઠી મળી આવી જેમાં ઉડિયા ભાષામાં લખાણ લખાયું હતું. જેના પરથી પોલીસને અંદાજ આવ્યો હતો કે મૃતક મહિલા ઓડિસાની છે. પોલીસે તે વિસ્તાર અને રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ જોવા મૃતક મહિલા એક યુવક સાથે ગઇ હોવાની જાણકારી મળી હતી. બાદમાં પોલીસે યુવકની ધરપકડ કરી હતી. જગન્નાથ ગૌડા નામના આ યુવકની કડકાઈથી પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું કે તેણે જ આ મહિલાની હત્યા કરી છે. કુની દાસ નામની આ મહિલા સાથે તેને 3 વર્ષથી પ્રેમસંબંધ હતા. આ મહિલા ઓડિશાના ભુવનેશ્વરમાં રહેતી હતી અને ફોન પર લગ્ન કરવા માટે દબાણ કરતી હતી. સાથે જ પૈસાની પણ માંગણી કરી હતી. જેનાથી કંટાળીને આરોપી 15 દિવસ પહેલા ઓડિશા ગયો હતો અને મહિલાને ટ્રેનમાં સુરત લાવ્યો હતો. સુરત લાવી તે ખેતરમાં લઇ ગયો હતો જ્યાં છરીના 50 ઘા મારી હત્યા કરી નાંખી હતી. આરોપીને ખબર હતી કે ખેતરની આસપાસ કોઈ CCTV લાગેલા નહીં હોય. આ કારણોસર તેણે ખેતરે લઈ જઈ હત્યા કરી નાંખી હતી.


શહેરના અમરોલી વિસ્તારમાં પંદર દિવસ અગાઉ થયેલી હત્યાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. અમરોલી વિસ્તારના અંજની ઇન્ડસ્ટ્રીયલ પાસે આવેલા એક ખેતરમાં એક અજાણી મહિલાની હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. યુવકે પોલીસને જણાવ્યું હતું કે પ્રેમ સંબંધ ના કારણે તેણે આ હત્યા કરી હતી.

પોલીસની પૂછપરછમાં જગન્નાથએ જણાવ્યું હતું કે તે કોસાડ આવાસ ખાતે પોતાના પરિવાર સાથે રહે છે અને મૃતક મહિલા કુનીદાસ સાથે તેને છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતા. આ મહિલા ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે રહેતી હતી. જેથી બંને વચ્ચે ટેલિફોનિક સંપર્કો ચાલુ હતા. છેલ્લા ઘણા સમયથી આ મહિલા આરોપી જગન્નાથને સુરત લઈ આવવા માટે દબાણ કરી રહી હતી. તેમજ પૈસાની પણ માંગણી કરી રહી હતી. જેથી આખરે કંટાળીને 15 દિવસ અગાઉ જગન્નાથ ઓડિશા ગયો હતો અને મહિલાને ટ્રેન મારફતે સુરત લઈને આવ્યો હતો. સુરત સ્ટેશન પર ઉતાર્યા બાદ તે સીધો આ મહિલાને લઈને તે ખેતરમાં લઇ ગયો હતો અને તેની પાસે રહેલા ચપ્પુ વડે મહિલાની હત્યા કરી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.  માત્ર એક ચિઠ્ઠીના કારણે આ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.