સુરતઃ સુરતમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં એક યુવા ડોક્ટર ડો. શ્રેયસ મોદીને પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)માં વધારે માર્ક્સ આવવા છતાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન નહીં મળતાં આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના બની છે.


ડો. શ્રેયસ મોદીએ સ્મિમેરમાંથી MBBSની પરીક્ષા પાસ કર્યા બાદ MD-એનેસ્થેસિયાનો અભ્યાસ કરવા માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) આપી હતી. ડો. શ્રેયસ મોદીને પોસ્ટ ગ્રેજ્યુએટ-નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)માં 435 માર્ક આવ્યા હતાપણ મેરિટ લિસ્ટમાં નામ નહોતું. બીજી તરફ  ઘણાનેં માત્ર 265 માર્કે પણ ક્વોલિફાય થતાં જોઈ ડો. શ્રેયસ મોદી હતાશ થઈ ગયા હતા. અડાજણમાં રહેતા આ ડોક્ટર યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.


પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતો પ્રમાણે, અડાજણ સુરભિ રો-હાઉસ ખાતે 26 વર્ષીય ડો. શ્રેયસ દીપકકુમાર મોદી (26) રહેતા હતા. ડો. શ્રેયસ મોદીના  પિતા દીપકકુમાર મોદી હીરાના વેપારી છે. ડો. શ્રેયસે સ્મિમેરમાંથી MBBSનો અભ્યાસ પૂરો કર્યો હતો. તેમણે MD (એનેસ્થેસિયા)માં પ્રવેશ મેળવવા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ની તૈયારી કરીને પરીક્ષા આપી હતી.


સોમવારે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)નું મેરિટ લિસ્ટ જાહેર થયું તેમાં પોતાનું  નામ ન હોવાથી ડો. મોદી હતાશ થઈ ગયા હતા. તેમણે સોમવારે સાંજે રૂમનો દરવાજો બંધ કરી ફાંસો ખાઇ લીધો હતો. અડાજણ પોલીસે તપાસ શરૂ કરી હતી.


આ અંગે ડો. શ્રેયસ મોદીની માતાએ જણાવ્યું હતું કે પીજી-નીટની પરીક્ષામાં મારા દીકરાના 435 માર્ક હોવા છતાં તેનું નામ મેરિટમાં આવ્યું ન હતું જ્યારે બીજાંને ઓછા માર્ક્સ છતાં મેરીટમાં નામ હોવાથી તેણે આવું પગલું ભરી લીધું. પરિવારે જણાવ્યું હતું કે સાંજે 5:50એ મેરિટ જોયું અને 10 જ મિનિટમાં આપઘાત કર્યો હતો. લિસ્ટ જોઈને શ્રેયસ ભારે હતાશ થઈ ગયો હતો.