સુરતઃ શહેરના સચિન હોજીવાલા રોડ નંબર 6 પર આવેલા ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. હાલ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


પ્લાયવૂડના કારણે આગે વિકરાણ રૂપ ધારણ કર્યુ

ભંગારના ગોડાઉનમાં ભંગાર અને પ્લાયવૂડના કારણે આગે વિકરાણ રૂપ ધારણ કરી લીધું છે. જ્યારે ગોડાઉનની આસપાસમાં આવેલી દુકાનો પણ આગની ઝપેટમાં આવી ગઈ છે. ફાયર વિભાગની 6 ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે અને વધુ ચાર ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા છે.

ભીષણ આગના પગલે આસપાસની દુકાનો ખાલી કરાવાઈ

ભંગારના ગોડાઉનમાં ભીષણ આગના પગલે આસપાસમાં આવેલી દુકાનો ખાલી કરાવી દેવામાં આવી છે. જોકે, આ આગના પગલે હાલ કોઈ જાનહાનિ ન સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે.

આગને કાબુમાં લેવા 8થી 10 કલાક લાગી શકે છે

ફાયર ઓફિસર પાટીલે જણાવ્યું હતું કે, પતરાના શેડવાળું ગોડાઉન સળગતા પ્લાયવૂડ અને ભંગાર પર હોવાથી આગને કંટ્રોલમાં કરવી ખૂબ જ મુશ્કેલી સર્જાઈ રહી છે. લગભગ આઠથી દસ કલાક આગને કાબુમાં લેવામાં ફાયરના જવાનો જહેમત ઉઠાવે એ વાતને નકારી શકાય નહીં. સુરતની પણ ફાયર ફાયટર અને ખાનગી જેસીબી મંગાવવામાં આવ્યા છે. પતરાના શેડ હટાવ્યા બાદ આગ પર ફરી ફાયર ફાયટરો કામ કરશે. હાલ ઘટના સ્થળે 10થી વધુ ફાયરની ગાડીઓ આગને કાબુમાં લેવા કામગીરી કરી રહી છે.