સુરતઃ ગોડાદરાની ખાડીમાં પૂર આવતાં રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઘાડીમાં પૂર ને કારણે પર્વત પાટિયા-ગોડાદરા રોડ વિસ્તારમાં નવનિર્મિત ઇમારતમાં 50થી વધુ લોકો ફસાયા હતા. ફસાયેલી વ્યક્તિએ સ્થાનિક કોર્પોરેટર વિજય ચોમાલને ફોન કરતાં તેમણે ફાયર વિભાગને જાણ કરી હતી અને તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ પછી ફાયર વિભાગે રેસ્ક્યૂ હાથ ધર્યું હતું.

હાલ, નવનિર્મિત બિલ્ડિંગમાંથી 27 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ફાયર વિભાગના કર્મચારીઓએ જીવના જોખમે લોકોને બચાવ્યા હતા. 5થી 7 ફૂટ પાણીમાંથી લોકોને બહાર કાઢ્યા હતા. માનવ ચેન બનાવીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયરના અધિકારીએ જણાવ્યું હતું કે, હજુ 40થી વધુ લોકો અંદર ફસાયેલા છે. જોકે, તેઓ બહાર આવવાની ના પાડે છે. પરંતુ અમે તમેને સમજાવીને બહાર કાઢી રહ્યા છીએ.

કોર્પોરેટર વિજય ચોમાલ અને ફાયરની ટીમે પ્રસંશનીય કામગીરી કરીને લોકોના જીવ બચાવ્યા હતા. ફાયર ઓફિસર ક્રિષ્ના મોઢ અને ટીમે 27 લોકોને બચાવ્યા છે. હજી પણ કામગીરી ચાલુ છે.