નવી દિલ્હી:  સરકારી સર્વેક્ષણમાં સતત છઠ્ઠા વર્ષે મધ્યપ્રદેશના ઈન્દોરને ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. સ્વચ્છ સર્વેક્ષણ 2022 એવોર્ડમાં ગુજરાતના સુરતને બીજા સૌથી સ્વચ્છ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ સર્વેક્ષણ 2016 થી હાથ ધરવામાં આવી રહ્યું છે. મૈસુરુ પ્રથમ સર્વેક્ષણમાં ટોચનું સ્થાન મેળવવામાં સફળ થયા પછી, ઇન્દોર 2017 થી યાદીમાં ટોચ પર છે.  


કેન્દ્રીય શહેરી આવાસ મંત્રાલય દ્વારા દર વર્ષે દેશના સ્વચ્છ શહેરનો સર્વે કરાતો હોય છે અને ચાલું વર્ષમાં પણ સ્વચ્છતાના સર્વે કરાયો હતો જેના પરિણામ આજે જાહેર થયા છે. મધ્યપ્રદેશના ઈન્દોરે સતત છઠ્ઠી વાર દેશના પહેલા નંબરના સ્વચ્છ શહેરનો એવોર્ડ જીતીને રેકોર્ડ સર્જ્યો છે. આ પહેલા પાંચ વાર ઈન્દોર દેશનું સ્વચ્છ શહેર બની ચૂક્યું છે.  કેન્દ્રીય શહેરી આવાસ મંત્રાલય દ્વારા જારી નિવેદનમાં કહેવાયું કે ઈન્દોર શહેર સતત છઠ્ઠી વાર દેશનું સ્વચ્છ શહેર બન્યું છે. બીજા નંબરે ગુજરાતનું સુરત શહેર આવે છે. સુરતને દેશના બીજા નંબરના સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે.


કેજરીવાલનો દાવો- 'સરકારી રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં આપની સરકાર બની રહી છે'


અરવિંદ કેજરીવાલ અને ભગવત માને કચ્છથી બે દિવસના પ્રવાસની શરૂઆત કરી છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગાંધીધામ જાહેરસભામાં હાજરી આપી હતી. સભામાં જનમેદની ઉમટી પડી હતી. અરવિંદ કેજરીવાલે ગાંધીધામમાં સભાને સંબોધિત કરતાં ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રીને દર મહિને 5 હજાર યુનિટ વીજળી ફ્રી મળે છે. ભાજપના લોકો મને ખૂબ ગાળો આપે છે. મંત્રીઓને ચાર હજાર યુનિટ વીજળી ફ્રી મળે છે. રોજગારીને લઈ કેજરીવાલે ગુજરાત સરકાર પર નિશાન સાધ્યું હતું. 


કેજરીવાલે પોતાના ભાષણની શરૂઆત કચ્છી બોલીથી કરી હતી અને પછી ગુજરાતીમાં કહ્યું કે, મજામાં. તેમણે કહ્યું કે, કોંગ્રેસને મત આપીને પોતાનો વોટ ખરાબ નથી કરવા માંગતા. આ વખતે ઇશ્વરે તમને મોકો આપ્યો છે. એવા મત આપો કે, દિલ્લી અને પંજાબનો પણ રેકોર્ડ તૂટી જાય. એટલી મોટી બહુમતી આપો કે અમે જે વચનો આપ્યા છે, તે તમામ પૂરા કરી શકીએ. તેમણે કચ્છમાં દરેક જિલ્લામાં મોટી હોસ્પિટલ ખોલવાની જાહેરાત કરી હતી તેમજ મફતમાં સારવારની જાહેરાત કરી હતી. 


તેમણે એક સર્વેની વાત કરીને દાવો કર્યો કે, એક સરકારી રિપોર્ટ આવ્યો છે. એ રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં  આપની સરકાર બની રહી છે. મોટી બહુમતીથી સરકાર બની રહી છે. આ રિપોર્ટ આવ્યો ત્યારથી તેઓ પાગલ થઈ ગયા છે. મને માહિતી મળી છે કે, બંને પાર્ટીની સિક્રેટ મીટિંગ ચાલું થઈ ગઈ છે. તેમજ તેઓ આમ આદમી પાર્ટીને રોકવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે ભાજપ કે કોંગ્રેસ ગમે તે આવે પણ આમ આદમી પાર્ટીની સરકાર ન બનવી જોઇએ.