સુરતઃ સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) સાથે સક્રિય માજી કોર્પોરેટરની ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો થયો છે અને પાસ સાથે સંકળાયેલા ધાર્મિક માલવિયાએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ પાસના અલ્પેશ કથીરિયાએ એલાન કર્યું હતું કે, માત્ર ધાર્મિક જ નહીં પરંતુ કોંગ્રેસે ટિકિટ આપી છે એવા પાસ સાથે સંકળાયેલા 10 જેટલા ઉમેદવારો ઉમેદવારી પાછી ખેંચશે.


કથીરિયાના આ દાવાને સુરતમાંથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ ખોટો ગણાવીને ઉમેદવારી પાછી ખેંચવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. કુંભાણીએ દાવો કર્યો કે, સુરતમાં કોંગ્રેસે 35 પાટીદારોને ટિકિટ આપી છે ત્યારે અમે ફોર્મ પાછાં ખેંચીને ભાજપને ફાયદો નહીં થવા દઈએ. તેમણ કહ્યું કે, અમે બધા સાથે મળીને ઐઆ મામલાને શાંત પાડીશું અને ગયા વખતે થયેલી ભૂલને નહી દોહરાવીએ.

કોંગ્રેસે વોર્ડ નંબર ત્રણમાં પાસના કન્વીનર ધાર્મિક માલવીયાને ટિકિટ આપી હતી પણ માલવિયાએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. પાસના અગ્રણીઓએ સીધી જાહેરાત કરી હતી કે ધાર્મિક માલવિયા સાથે 10 થી વધુ ઉમેદવારો ઉમેદવારીપત્રક પાછા ખેંચશે. કોંગ્રેસના હાર્દિક પટેલ સિવાયના કોઈપણ નેતાને વરાછામાં સભા કરવા નહીં કરવા દેવાય એવો પડકાર ફેંક્યો છે.