Surat: સુરતમાંથી આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહીં સિવિલ તંત્ર દ્વારા ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, નાના છોકરાના મૃતદેહને પૉસ્ટમૉર્ટમ કર્યા બાદ એમ્બ્યૂલન્સ ના હોવાની વાત કહી હતી, જેથી આખરે મૃતકના પરિવારજનોએ ઓટો રીક્ષામાં લઇ જવાની ફરજ પડી હતી. 




મળતી માહિતી પ્રમાણે, સુરત નવી સિવિલ ફરી એકવાર વિવાદોમાં આવી છે, નવી સિવિલના પૉસ્ટમૉર્ટમ રૂમના કર્મચારી પર એક ગંભીર આરોપ લાગ્યો છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં એક અઢી વર્ષના બાળકના મૃતદેહને પીએમ કરાવવા પરિવાજનો નવી સિવિલમાં લાવ્યા હતા, વડોદ ગામમાં દીપક નામનો આ અઢી વર્ષનો બાળક પોતાના ઘરની ત્રીજા માળની ગેલેરીમાંથી રમતો રમતો નીચે પટકાઇ ગયો હતો. આ પછી ગંભીર ઇજાઓ પહોંચી હતી અને અંતે તે મૃત્યુ પામ્યો હતો. આ મૃતદેહને નવી સિવિલના પીએમ રૂમમાં તેને પૉસ્ટમૉર્ટમ કરાવવામાં લાવ્યો હતો.




જોકે, બાદમાં પીએમ રૂમના કર્ચચારીએ એમ્બ્યૂલન્સ ના હોવાનું જણાવ્યુ હતુ, જેના કારણે પરિવારજનોને મૃતદેહને ઓટો રિક્ષામાં ઘરે-સ્માશન ભૂમિ લઇ જવાની ફરજ પડી હતી, બાદમાં સિવિલ તંત્રને જાણ થતાં બાળકના મૃતદેહને ફરી પાછો પીએમ રૂમમાં રખાવી દીધો હતો. 




રાજ્યમાં હાર્ટ અટેકથી વધુ એક મોત


રાજ્યમાં હાર્ટ અટેકના કારણે વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે. દાહોદ બાદ સુરતમાં પણ 36 વર્ષના યુવકનું હાર્ટ અટેકના કારણે નિધન થયું છે. સુરતના કીમ વિસ્તારમાં 36 વર્ષિય યુવક રજનીકાંતનું હાર્ટ અટેકના  કારણે મૃત્યું થયું છે. રજનીકાંત પટેલ અંકલેશ્વરની એક મિલમાં મશીન ફિટિંગ દરમિયાન અચાનક બેભાન થઇને ઢળી પડ્યાં હતા. તેમના બેભાન અવસ્થઆમાં જ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જો કે દુર્ભાગ્યવશ તેની જિંદગી ન બચાવી શકાય ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં. પ્રાથમિક તપાસમાં હાર્ટ અટેકથી મોત થયાનું કારણ સામે આવ્યું  છે.  મૃતક યુવક સુરતના કિમ વિસ્તારના શિવાજી નગરમાં રહેતો હતો. મોતના સમાચાર મળતા જ પરિવાર સ્તબ્ધ અને શોકમગ્ન છે.                                                     


આજે રાજ્યમાં અત્યાર સુધીમાં  કુલ ત્રણ હાર્ટ અટેકથી મોતની ઘટના બની છે. દાહોદ, સુરત અને જેતપુરમાં હાર્ટ અટેકથી મોતના અહેવાલ છે. જેતપુરમાં વધુ એક યુવાન ને હાર્ટ એટેક આવતા મોત થયું હતું. વેલકમ ચાઈનીઝમાં કામ કરતા યુવાનને ઘરે એટેક આવ્યો હતો. યુવકને ટાકુડીપરામાં પોતાની ઘરે હાર્ટ એટેક આવ્યો હતો, કેસર દિલ બહાદુર ખત્રી (ઉ.વ. 39)  નામનો મૂળ નેપાળના અને જેતપુરના નેપાલ ગંજ ખાતે રહેતો યુવક છેલ્લા ઘણા વર્ષો થી જેતપુર વેલકમ ચાઈનીઝ નામની દુકાનમાં કામ કરતો હતો. મૃતદેહને પીએમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો છે. જેતપુર સીટી પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી.


 દાહોદમાં નાટક ભજવવા આવેલા જાણીતા કલાકારનું હાર્ટએટેકથી નિધન થયું હતું.  બોમ્બે ખાતે રહેતા 39 વર્ષીય ભાસ્કર એલ ગોજક દાહોદ ખાતે બે અઢી ખીચડી કઢી નાટક ભજવવા આવ્યા હતા. નાટક પૂર્ણ થયા બાદ હૃદય રોગનો હુમલો થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.  તેમણે અનેક નાટક અને સિરિયલમાં કામ કર્યુ હતું. સંજય ગોરડીયા સહિત અન્ય 7 જેટલા પાત્રો નાટકમાં હતા. કલાકારના મૃતદેહને બોમ્બે લઈ જવામાં આવ્યો છે. કલાકારનું મોત થતાં સાથી કલાકારોમાં ગમગમીનો માહોલ છવાઈ ગયો હતો.