સુરત: જિલ્લાના મઢીની ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય ખાતે વિદ્યાર્થિની બીમાર થતા ભગતને બોલાવી વિધિ કર્યા હોવાના આક્ષેપ થયા છે ,જોકે શાળા સંચાલકોએ આક્ષેપને ફગાવી દીધા છે. તેમનું કહેવું છે કે, વિદ્યાલયને બદનામ કરવા માટે આ ષડયંત્ર રચવામાં આવ્યું છે.


રાત્રે ઊંઘમાંથી ઉભી થઇ ચીસો પાડતી હતી વિદ્યાર્થિની 


આ અંગે વિગતે વાત કરીએ તો, સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ખાતે આવેલી ઉત્તર બુનિયાદી કન્યા શાળામાં વિદ્યાર્થિની બીમાર થતા ડોક્ટર પાસે લઈ જવાની બદલે ભગતને બોલાવી વિધિ કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. કન્યા વિદ્યાલયની એક વિદ્યાર્થિની બીમાર થઈ ગઈ હતી અને રાત્રે ઊંઘમાંથી ઉભી થઇ ચીસો પાડતી હતી. જેને લઈ સાથે રહેતી અન્ય વિદ્યાર્થીનીઓ ગભરાઈ હતી અને ગૃહમાતાને જાણ કરી હતી.


બંને ગૃહમાતા દ્વારા આક્ષેપને ફગાવી દેવામાં આવ્યા


જોકે ગૃહમતાએ ડોક્ટરને બોલાવવાની જગ્યાએ વિદ્યાલયના છાત્રાલયમાં ભગત બોલાવી વિધિ કરાવી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. બીમાર વિદ્યાર્થિની સિવાય અન્ય તમામ વિદ્યાર્થિનીઓને પણ હાથમાં દોરો પહેરાવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જોકે શાળાના મંત્રી ,આચાર્ય તેમજ છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓ સાથે રહેતી બંને ગૃહમાતા દ્વારા આક્ષેપને ફગાવી દેવામાં આવ્યા છે.


કન્યા છાત્રાલયને બદનામ કરવા માટેનું કાવતરું


આ આક્ષેપ જે કરવામાં આવ્યા છે એ ઘટના લગભગ મહાશિવરાત્રીના અગાઉની છે. શાળામાં વિદ્યાર્થિનીની તબિયત ખરાબ થઈ હતી એ વિદ્યાર્થીનીને એના વાલી સાથે લઈ ગયા છે જ્યારે કોઈ ભગત કે ભુવાને શાળા પર બોલાવવામાં આવ્યા નથી. આ માત્ર અને માત્ર કન્યા છાત્રાલયને બદનામ કરવા માટેનું કાવતરું હોવાનું શાળા સંચાલકો જણાવી રહ્યા છે.


કોઈ પણ જાતની વિધિ કરવામાં આવી નથી તેવી વાત સંચાલકોએ કરી


જોકે બીમાર વિદ્યાર્થિનીને એના વાલી લઇ ગયા બાદ શિવરાત્રીનો તહેવાર આવ્યો હતો.  શાળાના નજીકમાં જ શિવ મંદિર પણ આવેલું હોવાથી શિવરાત્રીના દિવસે પૂજા અર્ચના કરવામાં આવી હતી અને છાત્રાલયમાં રહેતી તમામ વિદ્યાર્થિનીઓ મંદિરે દર્શન માટે આવી હતી ત્યારે મંદિરે પૂજા કરવા માટે આવેલા પૂજારી દ્વારા તમામ ઈચ્છા હતી એવી વિદ્યાર્થિનીઓને લાલ દોરો બાંધ્યો હતો. જે શ્રદ્ધાનો વિષય છે બાકી કોઈ ભગત ભુવા બોલાવી કોઈ પણ જાતની વિધિ કરવામાં આવી નથી તેવી વાત સંચાલકોએ કરી છે.