કોરોના વેક્સીનેશનની કામગીરમાં સુરત મનપા પર ઘોર બેદરકારીના આરોપ લાગ્યા છે. કોરોનાની રસી લીધી ન હોવા છતાં વેક્સીનેશનનું સર્ટીફિકેટ આપી દીધુ હોવાનો આરોપ લાગ્યો છે. 


એક સિનયર સીટીઝને વેક્સીનેશન માટે ઓનલાઇન નોધણી કરાવી હતી. 13 માર્ચે વેક્સીન લેવા જતા પેહલા જ સિનિયર સીટીઝનને મેસેજમાં વેક્સીનેશનનું સર્ટીફિકેટ બમરોલી હેલ્થ સેન્ટરે ઇશ્યૂ કરતા વિવાદ સર્જાયો છે. અને આવા અનેક કિસ્સા સામે આવ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. 


જે નામનું સર્ટીફિકેટ ઈસ્યુ કરાયુ છે તેમણે વેક્સીન લીધી જ નથી તેથી રસીકરણની કામગીરી વગર સર્ટિફેકેટ અપાઈ રહ્યા હોવા મુદ્દે સવાલો ઉઠાવાઈ રહ્યા છે. આરોપ લગાવનારે મનપા કમિશનર, કલેક્ટર અને પોલીસમાં ફરિયાદ કરવાની ચિમકી ઉચ્ચારી છે. 


નોંધનીય છે કે, 5 ડિસેમ્બર બાદ સુરતમાં એક દિવસમાં સૌથી વધુ 241 કેસ નોંધાયા છે. રવિવારે સુરત શહેરમાં 217 અને ગ્રામ્યમાં 24 કેસ નોંધાયા છે. સુરતમાં એક્ટિવ કેસનો આંક પણ સૌથી વધુ 1 હજાર 187 છે. 


સુરતમાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ પર નજર કરી એ તો અઠવા 79 સેંટ્રલ ઝોનમાં 21, વરાછા-એ ઝોનમાં 14, વરાછા બી ઝોનમાં 8, રાંદેરમાં 40, કતારગામમાં 17, લિંબાયતમાં 23 અને ઉધનામાં 15 કેસ નોંધાયા હતા. સુરતમાં સ્કૂલ-કોલેજમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે.


શહેરમાં પહેલા પરિવારમાં એક વ્યક્તિ પોઝિટીવ આવતો હતો. પણ હવે અનેક પરિવારમાં એવી સ્થિતિ છે કે એક વ્યક્તિ પોઝિટીવ આવ્યા બાદ તેમના પરિવારની અન્ય વ્યક્તીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહી છે. જે મહાનગરપાલિકા માટે ચિંતાનો વિષય બન્યો છે.


હાલ નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં 18 દર્દીઓ ગંભીર હાલતમાં સારવાર લઈ રહયા છે. નવી સિવિલ હોસ્પિટલમાં 6 દર્દીઓ ઓક્સિજન પર 5 દર્દીઓ બાયપેપ પર અને 1 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. આવી જ રીતે સ્મીમેર હોસ્પિટલમાં 3 દર્દીઓ વેન્ટિલેટર પર અને 3 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઇ રહ્યા છે. નવા નોંધાયેલા કેસમાં 2 પૂર્વ નગર સેવક અને વિદ્યાર્થીઓ સહીત અનેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એટલું જ નહીં પણ ટેક્સટાઇલ સાથે સંકળાયેલા 12 લોકોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો.