સુરતમાં રત્નકલાકારોને મારી નાંખવાના સૌથી મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ ષડયંત્ર રચાયું કાપોદ્રાની અનભ જેમ્સ નામની ડાયમંડ ફેકટરીમાં જ્યાં બુધવારે સવારે કુલરનું પાણી પીધા બાદ એક બાદ એક 118 રત્નકલાકારને શ્વાસ લેવામાં અને પેટમાં તકલીફ થતા તાબડતોબ સારવારમાં ખસેડવા પડ્યા હતા.
જે પૈકી 104 રત્નકલાકારને કિરણ હોસ્પિટલમાં તો 14 રત્નકલાકારને ડાયમંડ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા. 24 કલાક મોનિટરિંગ પર રખાયા બાદ તમામને ડિસ્ચાર્જ કરાશે. રત્નકલાકારોએ જે કુલરમાંથી પાણી પીધું હતું તે પાણીમાં સેલ્ફોસ નામની ઝેરી પડીકી નાંખવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. રત્નકલાકારોએ પાણી પીધા બાદ સ્વાદમાં ફેર લાગ્યો હતો અને કોઈ પ્રકારની ગંધ આવતી હતી. જેથી મેનેજર તરીકે ફરજ બજાવતા હરેશ લશ્કરીને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જેમાં મેનેજરના ભાણેજ નિકુંજનો પણ સમાવેશ થાય છે. જેથી તાત્કાલિક પાણીના કુલરનું મેઈન્ટેનન્સ કરતા સુપરવાઈઝરને જાણ કરી હતી. બાદમાં તપાસ કરતા કુલરની અંદર અનાજમાં નાંખવાની સેલ્ફોસની એક તૂટેલી પડીકી અને બીજુ એક આખુ પેકેટ મળી આવ્યું હતું. જેના કારણે રત્નકલાકાર સહિત પાણી પીનારા સ્ટાફના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
ઘટનાને પગલે કાપોદ્રા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ડાયમંડ કંપની પહોંચ્યા હતાં. આ ઉપરાંત સુરત મનપા કમિશનર, મેયર સહિતના પણ હોસ્પિટલ દોડી ગયા હતાં. જ્યાં રત્નકલાકારોના ખબર-અંતર પૂછ્યા હતાં. હાલ તો પોલીસને અંદરના જ કોઈની સંડોવણી હોવાની આશંકા છે. પોલીસે હાલ ફોરેન્સિક નિષ્ણાંતોની મદદ લઈ તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક નિષ્ણાંતોના પ્રાથમિક રિપોર્ટ બાદ પોલીસ ફરિયાદ નોંધશે. જ્યાં પાણીનું કુલર હતું ત્યાં સીસીટીવી લગાવાયા ન હોવાથી કોને ષડયંત્ર રચ્યું તે જાણવાનું કામ પોલીસ માટે પડકારરૂપ બન્યું છે.
આ બનાવથી ડાયમંડ કંપનીમાં ભયનો માહોલ છે. કૂલરનું પાણી દૂષિત હોવાની વાતથી અરાજકતા ફેલાઈ હતી. 50 જેટલા રત્નકલાકાર બેભાન થયા હોવાની વાત સામે આવી છે. કૂલરમાં સેલ્ફોસ નામની વસ્તુ નાખેલું જોવા મળ્યું છે. જેના કારણે રત્નકલાકારો ગભરાયા હતા. જે બાદ સ્વયંભૂ રત્નકલાકારો પોતાનો રિપોર્ટ કરાવવા ભાગ્યા હતા. સેલ્ફોસ નામની દવાની પડીકી પણ ફિલ્ટર પાસેથી મળી આવી હતી. જો કે, સાચી હકીકત પોલીસ તપાસ બાદ જ સામે આવશે.