સુરત:  સુમુલ ડેરીમાં વહીવટમાં ગેરરીતિને કારણે ડેરીના ત્રણ અધિકારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. સુમુલના ઉચ્ચ અધિકારીઓને ટર્મિનેટ કરવાની વાતને લઈને શહેરની સાથે સમગ્ર દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે. દક્ષિણ ગુજરાતની મોટી ડેરીમાં કર્મચારીઓનું કૌભાંડ બહાર આવતા ચકચાર મચી છે.


સુમુલ ડેરીનો વર્ષે 4200 કરોડથી વધારેનો વહીવટ થઈ રહ્યો છે


હાલમાં સુમુલ ડેરીનો વર્ષે 4200 કરોડથી વધારેનો વહીવટ થઈ રહ્યો છે. સુમુલ ડેરી સાથે 2.50 લાખથી વધારે પશુપાલકો સંકળાયેલા છે અને ડેરીમાં રોજ 12થી 14 લાખ લીટર જેટલા દુધની આવક થઈ રહી છે. સુમલ ડેરીના ઉચ્ચ અધિકારી જીએમ. માર્કેટિંગ મનીષ ભટ્ટ, ડીજીએમ ઓપરેશન અલ્પેશ શાહ અને મેનેજર એન્જિનિયરિંગ હિરેન પટેલ દ્વારા ગેરરીતિ આચરી હોવાની વાત સુમુલના ડિરેક્ટરોને જાણ થઈ હતી. જેના કારણે આ ત્રણેય ઉચ્ચ અધિકારીઓેને ટર્મીનેટ કરી દેવામાં આવ્યા છે.


ગેરરીતિ આચરી હોવાના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા


કયા ચોક્કસ મુદ્દે તેમને ટર્મીનેટ કરવામાં આવ્યા છે તે હાલમાં જાણી શકાયું નથી. પરંતુ ડેરીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગતરોજ ડેરીના 4 સિનિયર ડિરેક્ટર સમક્ષ સુમુલના ઉચ્ચ અધિકારીઓએ દૂધ ચોરી થતું હોવાની સાથે સાથે સુમુલના વિવિધ પ્રોજેક્ટમાં પણ ગેરરીતિ આચરી હોવાના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા.


ત્રણેય અધિકારીઓને ટર્મિનેટ કરવાનો નિર્ણય સુમુલના તંત્ર દ્વારા લેવામાં આવ્યો 


આ ત્રણેય અધિકારીઓને ટર્મિનેટ કરવાનો નિર્ણય સુમુલના તંત્ર દ્વારા લેવામાં આવ્યો હતો. જેમાં ડેરીના ઉચ્ચ અધિકારી જીએમ. માર્કેટિંગ મનીષ ભટ્ટ, ડિજીએમ ઓપરેશન અલ્પેશ શાહ અને મેનેજર એન્જિનિયરિંગ હિરેન પટેલની તાત્કાલિક ધોરણે હકાલપટ્ટી કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઉચ્ચ અધિકારીઓ દ્વારા દુધને બારોબાર સગેવગે કરવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. જોકે સુમુલ MD અરુણ પુરોહિત વહીવટી પ્રક્રિયા હોવાનું જણાવી વધુ માહિતી આપતા બચ્યા હતા.