વલસાડઃ ગુજરાતમાં સંભવિત 'નિસર્ગ' વાવાઝોડાને પગલે સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે આજે વલસાડના તિથલમાં ખૂબ જ હળવા છાંટા પડ્યા હતા. વરસાદી ઝાપટાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. નિસર્ગને લઈને વલસાડ જીલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે. ઉમરગામ નવી નગરી વિસ્તાર ખાલી કરાવવા તંત્ર પોહોચ્યું છે. સ્થાનિકોએ ખાલી કરવા ઇનકાર કરતા અધિકારીઓએ લોકોને સમજાવ્યા હતા. હાલમાં વિસ્તાર ખાલી કરાવવાની તજવીજ હાથ ધરાઈ છે.


સંભવિત વાવાઝોડાને લઈને તિથલ ગ્રામ પંચાયત દ્વારા તમામ તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા શેલ્ટર હોમ તરીકે સ્થાનિક પ્રાથમિક શાળાને સેનેટાઈઝ કરી દેવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત અને વન વિભાગ પણ હાલ વિસ્તારમાં સક્રીય છે.

વલસાડમાં સંભવિત વાવાઝોડાને લઈને તંત્ર સજ્જ છે, તો તંત્ર દ્વારા જિલ્લાના 35 ગામો ને એલર્ટ કરાયા છે. વલસાડ તાલુકાના 18 ગામો જેમાં ભગોદ, મેહ,મગોદ, સુરવાળા, સેગવી, તિથલ, કોસંબા, ભદેલી, દેસાઈ પાર્ટી, ભડેલી જગાલાલા, છરવાડા, ભાગલ, દાંડી, માલવણ, દાંતી - કકવાડી, ધરાસાણા , ભાગડા ખુર્ડ, ઉમરસાડી, ઉતડીનો સમાવેશ થાય છે. પારડી તાલુકા ના 4 ગામો કોલક, ઉદવાડા, કલ્સર, ઉમેસાડીનો સમાવેશ થાય છે. તેમજ ઉમરગામના 13 ગામો ગોવાડા, દેહરી, ઉમરગામ, પલગામ, વારોલી, નારગોલ, સરોનડા, મરોલી, ફણસા, કાલઈ , પાલી કરમબેલી, પાલીને એલર્ટ પર રખાયા છે. આ સિવાય વલસાડ માં NDRFની પણ ટીમ તૈનાત કરવામાં આવી છે. કલેકટર વલસાડ પણ તમામ સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.