સુરતઃ ભાજપના નેતા અને છેલ્લા કેટલાક સમયથી વિવાદો સર્જી રહેલા પીવીએસ શર્માએ આપઘાતનો પ્રયાસ કરતાં ખળભળાટ મચ્યો છે. ભૂતપૂર્વ ઇનકમટેક્ષ અધિકારી શર્મા સામે ઉમરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ કેસમા શર્માની ધરપકડ થાય તે પહેલાં તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ શર્મા સુરતની મહાવીર હોસ્પિટલમાં દાખલ થયા છે. શર્માએ આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો એ સવાલ પૂછાઈ રહ્યો છે.


નવસારીના ગ્રામીણ વિસ્તારમાં આવેલ એકવફાર્મ હાઉસમાં PVS શર્માએ ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ સમયે હાજર ડ્રાયવર સમયસૂચકતા વાપરી PVS શર્માને તાત્કાલિક સુરત લઈ આવ્યા હતા અને મહાવીર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.



PVS શર્મા વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં આઇટી અધિકારીએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે ન્યૂઝ પેપરમાં જે બીલો મુકવામાં આવ્યા છે તે ખોટા છે. આ પહેલાં સુરત, મુંબઈ અને થાણેમાં PVS શર્માનાં 13 સ્થળો પર સાગમટે આઇટી સર્ચ કરવામાં આવી હતી. સુરત ખાતે આવેલ ન્યૂઝ પેપર ઓફિસમાં દરોડાની કામગીરીમાં ખોટા બીલો મળી આવ્યાં હતાં તે બાબતે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ પેપરનું સર્ક્યુલેશન ઓછું હોવા છતાં બીલો વધુ બતાવવામાં આવ્યા હતા અને એ પ્રમાણે સરકારી સહિત અન્ય એડ લેવામાં આવતી હોવાનો આરોપ પોલીસ ફરિયાદમાં લગાવાયા છે.

PVS શર્માએ પ્રધાનમંત્રી મોદીને ટ્વિટ કરી નોટબંધી માં થયેલ ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવા માંગ કરી હતી. આઇટી અધિકારીઓ સંડોવાયેલા હોવાનો આરોપ PVS શર્માએ લગાવ્યો હતો.