Gujarat Assembly Election 2022: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. એક બાદ એક રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં સભા ગજવી રહ્યા છે. તો બીજી તરફ આવતી કાલથી ચૂંટણી પ્રચારની ભવ્યની શરૂઆત થશે. આજે ગોડાદરા ચોર્યાસી વિધાનસભા બુલડોઝર દ્વારા રેલી યોજાઈ હતી. આવતીકાલે યૂપીના સીએમ અને બીજેપીના ફાયરબ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથ ગુજરાતમાં આવી રહ્યા છે. જેને લઈને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપના કાર્યકતાઓએ બુલડોઝરમાં બેસી પ્રચાર કર્યો હતો.


આ નેતાએ તો ભારે કરી! 


 ગાંધીનગરમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ડ્રામાં સામે આવ્યો છે. કોંગ્રેસમાંથી આપમાં જઈ આવેલા ઉમેદવારે હવે સમાજવાદી પાર્ટીમાંથી દાવેદારી નોંધાવતા રાજકારણ ગરમાયું છે.  કોંગ્રેસના ગાંધીનગર જિલ્લાના પૂર્વ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ હવે આમ આદમી પાર્ટી પણ છોડી દીધી છે.  ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ટિકિટ ન મળતા સમાજવાદી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે. તેમણે કહ્યું કે, ગાંધીનગરની એક પણ બેઠક પર રાજપૂત સમાજને આમ આદમી પાર્ટીએ ટિકિટ ન આપતા રાજપુત સમાજ નારાજ છે. આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને સૂર્યસિંહ ડાભીએ રાજીનામું મોકલી આપ્યું છે. નોંધનીય છે કે, સુર્યસિંહ પહેલા કોંગ્રેસમાં હતા અને ત્યાર બાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને હવે સમાજવાદી પાર્ટીમાંથી દાવેદારી નોંધાવી છે.


મેં સી.આર.પાટીલને મનાવવાનો પ્રયત્ન કર્યો


 ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ છે. ભાજપે આ વખતે વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ટિકિટ આપી નથી. જેના કારણે તેઓ અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી ફોર્મ ભરતા પહેલા તેમણે પોતાના કાર્યાલયથી ભવ્ય રેલી યોજી હતી. આ સમયે તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું, અધુરા વિકાસના કામો પૂર્ણ કરવા ચૂંટણી લડી રહ્યો છું. મારા કાર્યકર્તાઓના કહેવાથી ચૂંટણી લડવાનો છું. સી આર પાટીલે મનાવવાનો પ્રયત્ન કર્યો હતો, મેં કીધું છેલ્લી ટર્મ ચુંટણી લડવા દો પણ તેમણે વાત ન માની. હું ચૂંટણી લડવાનો, જીતવાનો અને કાર્યકર્તાઓ કહે તે કરીશ.


NCP એ આ બેઠક પરથી બદલ્યા ઉમદવાર


ગુજરાતમાં કોંગ્રેસ ત્રણ સીટ પર એનસીપી સાથે ગઠબંધન કર્યુ હોવાથી ત્યાં પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા નથી. જેમાં એક બેઠક અમદાવાદની નરોડા છે. આ બેઠક પર એનસીપીએ ઉમેદવાર બદલ્યા છે. એનસીપીએ આ બેઠક મપર નિકુલસિંહ તોરમને ટિકિટ આપી હતી. પરંતુ છેલ્લી ઘડીએ નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની પાડી દીધી હતી. નિકુલસિંહ કોંગ્રેસના કોર્પોરેટર હોવાથી NCPમાંથી ચૂંટણી લડવી હોય તો રાજીનામું આપવું પડે તેમ હોવાથી તેમણે ચૂંટણી જંગમાં નહીં ઝંપલાવવાનો નિર્ણય કર્યો હતો. NCP સિંધી સમાજના મેઘરાજ દોડવાણીને ચૂંટણી લડાવશે.


કોંગ્રેસે અડધી રાતે આ બેઠકના ઉમેદવાર બદલ્યા


ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે જ હાલોલ વિધાનસભા બેઠકનાં કોંગ્રેસ ઉમેદવાર બદલાયા છે. પંચમહાલના હાલોલ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત બાદ રાત્રે મેન્ડેટ બદલાયું હતું. કોંગ્રેસ દ્વારા ગઈકાલે ઉમેદવારની અંતિમ યાદી જાહેર કરવામાં આવી હતી, અંતિમ યાદીમાં ગોધરાના માજી ધારાસભ્ય રાજેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ હતી. રાજેન્દ્ર પટેલે ગોધરાથી ચૂંટણી લડવા પક્ષ સમક્ષ ઈચ્છા દર્શાવી હતી, જે પાર્ટીએ અવગણતાં રાજેન્દ્ર પટેલે હાલોલ થી ચૂંટણી લડવા ઈન્કાર કર્યો હતો. રાજેન્દ્ર પટેલે હાલોલથી ચૂંટણી લડવા ઇનકાર કરતા નવા ઉમેદવાર અનિશ બારીયાને કોંગ્રેસ દ્વારા મેન્ડેટ અપાયું છે.