તાપીઃ વ્યારાના ચર્ચિત બિલ્ડર નિશિષ શાહ હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. વ્યારાના બિલ્ડર નિશિષ શાહની સોપારી આપી હત્યા કરાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં સાળા એ જ બનેવીની હત્યાની સોપારી આપી હોવાનું બહાર આવ્યું છે. મુખ્ય સૂત્રધાર તરીકે વિજયભાઈ એમ પટેલનું નામ પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે. વિજય પટેલ બિલ્ડર અને પેટ્રોલ પમ્પના ધંધા સાથે સંકળાયેલ હોઈ જિલ્લા સહિત વ્યારા નગરમાં ચકચાર મચી ગઈ છે.


શું છે ઘટના


14 મે ની મોડી સાંજે આશરે 8:15થી 8:30ના સમય દરમિયાન કારમાં આવેલા ચાર અજાણ્યા હત્યારાઓએ નિશિષ શાહની મોપેડને ટક્કર મારી પાડી દીધા હતા, ત્યારે ત્યાં દોડી ગયેલા તરબૂચના વેપારી ગણેશ લિહારકાર અને તેના સાળા દિગંબર સુપલકરને ચપુ અને તલવારથી જીવલેણ ઘા માર્યા હતા. ત્યાર બાદ આ લોકો બિલ્ડર નિશિષ શાહ પાછળ દોડ્યા હતા. આરોપીઓએ શનિદેવના મંદિર નજીક રસ્તા પર નિશિષ શાહને તલવારના ઘા મારીને પાડી દીધો હતો અને આરોપીઓએ તલવાર અને ચપુના ધા મારી નિશિષ શાહનું ઘટના સ્થળે જ કાસળ કાઢી નાખ્યું હતું. નિશિષ શાહની હત્યા કર્યા બાદ આરોપીઓ ઘટના સ્થળેથી કારમાં નાસી છૂટ્યા હતા.


ઘટના સીસીટીવીમાં કેદ


સમગ્ર ઘટના કેટલાક સ્થાનિકોએ પણ જોઈ હતી અને CCTV કેમરામાં પણ કેદ થઈ હતી. જોકે ત્યારબાદ કાર નંબર GJ 05 JP 2445 બારડોલીના મઢી-સૂરાલી ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા મુખ્ય કેનાલમાંથી મળી આવી હતી.  બારડોલીના મઢી-સૂરાલી ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા મુખ્ય કેનાલમાંથી મળી આવેલી કાર મામલે તપાસ કરતા કારના માલિકનું થોડા સમય પહેલા જ કોરોનામાં મોત નીપજ્યું હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. જોકે, કાર કોણે અને કોને કઈ રીતે વેચી તે અંગે કાર માલિકના પરિવારજનો પાસેથી કોઈ પણ માહિતી મળી શકી નથી.