Surat: રોડ-શો માટે સુરત આવેલા કેજરીવાલે સર્કિટ હાઉસમાં કોની સાથે કરી મીટિંગ ? કોની સાથે ફોન પર વાત કરી આભાર માન્યો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Feb 2021 11:09 AM (IST)
આમ આદમી પાર્ટી (આપ)ના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે કેજરીવાલે પાટીદાર આગેવાનો સાથે વાત કરી હતી અને તેમનો આભાર માન્યો હતો.
ફાઈલ તસવીર
સુરતઃ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)એ કરેલા શાનદાર દેખાવના પગલે સુરતની પ્રજાનો આભાર માનવા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ સુરત આવ્યા છે. સુરતમાં આજે કેજરીવાલને રોડ શો છે. આ રોડ શો માટે સુરત આવેલા અરવિંદ કેજરીવાલે સર્કિટ હાઉસ ખાતે સુરતના આમ આદમી પાર્ટી (આપ)ના કાર્યકરો સાથે બેઠક કરીને તેમને પૂરી તાકાતથી પ્રજાના પ્રશ્નો ઉઠાવવા હાકલ કરી હતી. આ ઉપરાંત સ્થાનિક આગેવાનો સાથે કેજરીવાલે વાતચીત કરી હતી. આમ આદમી પાર્ટી (આપ)ના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે કેજરીવાલે પાટીદાર આગેવાનો સાથે વાત કરી હતી અને તેમનો આભાર માન્યો હતો. બપોરે 3:00 વાગે સુરતના વરાછાના મીનીબઝારમાં માનગઢ ચોકથી રોડ-શોનું પ્રસ્થાન કરશે. આ રોડ શોથી મીનીબજાર (માનગઢ ચોક)થી, હિરાબાગ, રચના સકઁલ, કારગીલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા નાકા, સરથાણા જકાતનાકા જશે અને ત્યાં રોડ-શો સમાપ્ત થશે. અહીં કેજરીવાલ જનસભાને સંબોઘન કરશે. સાંજે 7:00 વાગે સુરત એરપોર્ટ પરથી દિલ્હી જવા નિકળી જશે.