સુરત: કામરેજ બસ સ્ટેશન પાસે એક ગોજારી ઘટના સામે આવી છે. અહીં લાલ એસટી બસે યુવકને ટક્કર મારી છે. બસે ટક્કર મારતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. મૃતક યુવકની ઉંમર 30 વર્ષની હોવાની માહિતી સામે આવી છે. બસની ટક્કરે કિશોર રાઠોડ નામના વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. હવે આ મામલે કામરેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.


અમદાવાદમાં ધ્વનિ પ્રદૂષણને લઈને કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું


અમદાવાદ: અવાજ પ્રદૂષણ નિયંત્રણ બાબતે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. ધ્વનિ પ્રદૂષણને લઈને અનેક ફરિયાદો બાદ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  મંદિર, ચર્ચ અને મસ્જિદમાં સાઉન્ડ સિસ્ટમનો અવાજ મર્યાદિત અને સંકુલ બહાર ન જાય તે પ્રમાણે કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  ઔધોગિક વિસ્તારમાં સવારે 6 થી 10 સુધી 75 ડિસેબલ, રાતે 75 ડિસેબલ, વાણિજ્ય વિસ્તારમાં દિવસ દરમિયાન 65, રાત્રિ દરમિયાન 55 ડિસેબલ, રહેણાંક વિસ્તારમાં દીવસે 55, રાતે 45 ડિસેબલ, શાંત વિસ્તારમાં દીવસે 50, રાત્રે  40 ડિસેબલ પ્રમાણ જાળવવા સૂચના આપવામાં આવી છે.


ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાનની ખુલ્લી પોલ


વલસાડ: શિક્ષણનો સ્તર ઊંચું લાવવા માટે સરકાર સતત ખર્ચ કરી રહી છે અને સ્કૂલ ચલે હમ અને પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા જેવા સ્લોગનો આપવામાં આવે છે. પણ જમીની હકીકત કઈંક જુદી જ છે. અલગ અલગ વિભાગોની ફાઇલમાં આ બાળકોના ભણવાના ઓરડા ખોવાઈ જાય છે. વલસાડ જિલ્લામાં કોઇક જગ્યાએ ટેરેસ પર તો કોઈક જગ્યાએ મંદિરમાં તો કોઈક જગ્યાએ દૂધની ડેરીમાં બાળકો ભણી રહ્યા છે. ત્યારે એક સ્લોગન એવું પણ બની શકે કે પઢને કા મકાન હોગા તો હી તો પઢેગા બચ્ચા. વલસાડમાં ઓરડાને લઈને એક ઘટના સામે આવી છે.


રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં આજે પણ શિક્ષણ સ્તરે હજુ પણ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના ભદેલી ગામ એટલે દેશના માજી વડા પ્રધાન અને ભારત રત્ન સ્વ. મોરારજી દેસાઈના ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત બનતા બાળકોએ ખુલ્લામાં ટેરેસ પર અથવા એક સાથે બે ધોરણના બાળકોએ આચાર્યના ઓફિસમાં બેસી અભ્યાસ કરવાનો વારો આવ્યો છે. નવાપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 117 જેટલા બાળકો અભ્યાસ કરે છે ત્યારે શાળામાં 8 ઓરડાઓ પૈકી 2 ઓરડાઓ ચાલુ છે. જેમાં એક આચાર્ય તથા શિક્ષકોની ઓફીસ છે ત્યારે બાળકોએ ખુલ્લામાં ન બેસવું પડે એ માટે આચાર્યની ઓફિસમાં ભણાવવામાં આવે છે. સાથે એક ઓરડામાં જ બંને ધોરણના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે તો અન્ય ધોરણના બાળકોને ટેરેસ પર બેસાડવામાં આવે છે.


બાળકો વધુ હોવાના કારણે બે બેચમાં બાળકોને બોલાવવામાં આવે છે. સાથે ધોરણ 1 અને 2 , ધોરણ 3 અને 4 ના બાળકોને સાથે બેસાડીને પણ અભ્યાસ કરવામાં આવે છે. નવાપુરા ખાતે આવેલી પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં થતા શિક્ષણ વિભાગ દ્રારા વર્ષ 2018માં તોડી પાડવાની મજૂરી આપી દેવામાં આવી હતી પરંતુ ઉલ્લેખનીય બાબત એ છે કે શાળા તોડી પાડવાની મંજૂરી આપવામાં આવી છે પણ નવા મકાનની કોઈ પણ મજૂરી ન મળતા શાળાનું કામ હજુ પણ શરૂ કરાયું નથી. વારંવાર શાળા માટે સ્થાનિકો તથા ગ્રામ પંચાયતના સભ્યો સરપંચ સહિતના લોકો દ્વારા રજુઆત કરવામાં આવી છે તેમ છતાં સંબંધિત વિભાગ દ્વારા શાળા બનાવવા માટે કોઈ પણ મંજૂરી ન મળતા બાળકોએ વરસાદ હોય ઠંડી હોય કે ગરમી હોય તેવા આચાર્યની ઓફિસમાં અથવા ટેરેસ પર બેસી ભણવાનો વારો આવ્યો છે.