8 જૂનથી મંદિરો ખૂલશે પણ ધાર્મિક કાર્યક્રમોને ક્યારે મંજૂરીની શક્યતા ? શ્રાવણમાં ધાર્મિક કાર્યક્રમો થઈ શકશે કે નહીં ? જાણો મહત્વની વિગત
પહેલા તબક્કામાં 8 જૂનથી ધાર્મિક સ્થાનો, હોટલ, રેસ્ટોરન્ટ્સ, હોસ્પિટાલિટી સેવાઓ તથા શોપિંગ મોલ ખોલવાની જાહેરાત કરી છે.
Continues below advertisement

નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશમાં કન્ટેઈનમેન્ટ ઝોનના વિસ્તારોને બાદ કરતાં તમામ વિસ્તારોમાંથી લોકડાઉન હટાવી લેવાની જાહેરાત કરીને અનલોક-1નો અમલ શરૂ કરી દીધો છે. મોદી સરકારે દેશને અનલોક કરવાની શરૂઆત 1 જૂનથી કરી દીધી છે. સાથે સાથે દેશને અનલોક કરવાના પહેલા તબક્કામાં 8 જૂનથી ધાર્મિક સ્થાનો, હોટલ, રેસ્ટોરન્ટ્સ, હોસ્પિટાલિટી સેવાઓ તથા શોપિંગ મોલ ખોલવાની જાહેરાત કરી છે.
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલે બહાર પાડેલા આદેશમાં કહેવાયું છે કે, 8 જૂનથી ધાર્મિક સ્થાનો, હોટલ, રેસ્ટોરન્ટ્સ, હોસ્પિટાલિટી સેવાઓ તથા શોપિંગ મોલ ખોલવા અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (એસઓપી)ની વિગતો ટૂંક સમયમાં બહાર પડાશે.
જો કે આ આદેશમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે, ધર્મસ્થાનો ખોલવાની મંજૂરી ભલે 8 જૂનથી મળે પણ ધાર્મિક કાર્યક્રમોની મંજૂરી હમણાં નહીં મળે. આ મંજૂરી આપવા અંગે અનલોકના ત્રીજા તબક્કામાં વિચારણા કરાશે. એ વખતની સ્થિતિની સમીક્ષાના આધારે ધાર્મિક કાર્યક્રમો શરૂ કરવા અંગેનો નિર્ણય લેવાશે એવી સ્પષ્ટતા આ આદેશમાં કરાઈ છે.
ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર બીજા તબક્કાની છૂટછાટ અંગે જુલાઈ મહિનામાં નિર્ણય લેવાશે. ધાર્મિક કાર્યક્રમોને મંજૂરી અંગે એ પછીના તબક્કામાં વિચારાશે એ જોતાં જુલાઈના અંત સુધી ધાર્મિક કાર્યક્રમોને મંજૂરી મળવાની શક્યતા દેખાતી નથી. ગુજરાતમાં શ્રાવણ મહિનાની શરૂઆત 21 જુલાઈથી થાય છે એ જોતાં ગુજરાતમાં શ્રાવણ મહિના દરમિયાન ધાર્મિક કાર્યક્રમોને મંજૂરી મળવાની શક્યતા નથી.
Continues below advertisement