બોડેલીઃ કોરોનાનું સંક્રમણ સમગ્ર રાજ્યમાં વધી રહ્યું છે, ત્યારે જે તે જિલ્લા, તાલુકા અને શહેરોમાં તંત્ર પોતપોતાની રીતે કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે પગલા ભરી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુરના બોડેલીમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા 18 જુલાઈથી 23 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન રાખવામાં આવ્યું હતું. તેમજ આ સમય દરમિયાન પ્રશાસન દ્વારા ડૉર ટુ ડોર સર્વે હાથ ધરી 18 પોઝિટિવ દર્દીઓ શોધી કાઢવામાં આવ્યા હતા. જોકે, પ્રસાશને વધુ 3 દિવસ દુકાનો બંધ રાખવા અપીલ કરી પરંતુ વેપારીઓ માન્યા નહીં અને બજારો ખુલી ગયા.


બજાર ખુલ્યાના ત્રીજા જ દિવસે એટલે 26 તારીખે બોડેલીમાં 21 પોઝીટીવ કેસ આવ્યા હતા. જે છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધી એક જ દિવસમાં આવેલા પોઝિટિવ કેસોનો સૌથી વધુ આંકડો છે. છોટાઉદેપુરમાં હાલ, 38 એક્ટિવ કેસો છે. જ્યારે 98 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી એક વ્યક્તિનું મોત થયું છે.