નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારી પર હુમલો કરવા અને ધમકી આપવાના ગંભીર ગુનામાં આમ આદમી પાર્ટી (AAP) ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને 7 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટના આ ઐતિહાસિક ચુકાદા બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ દોષિતોને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલવામાં આવ્યા છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ 2 વર્ષથી વધુની સજા થવાને કારણે હવે ચૈતર વસાવા પોતાનું ધારાસભ્ય પદ ગુમાવી શકે છે, જે આમ આદમી પાર્ટી માટે એક મોટો રાજકીય આંચકો માનવામાં આવી રહ્યો છે.
વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પહોંચ્યા બાદ જેલ પ્રશાસન દ્વારા તમામ વહીવટી અને કાનૂની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી, જેમાં આરોપીઓનું મેડિકલ ચેકઅપ અને બેરેકની ફાળવણીનો સમાવેશ થાય છે. જેલના સત્તાવાર રેકોર્ડ મુજબ હવે ધારાસભ્ય ચૈતર વસાવાને કેદી નંબર 90888 ફાળવવામાં આવ્યો છે અને જેલના નિયમો અનુસાર તેમને અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે. આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવા માટે ‘આપ’ (AAP) ની લીગલ સેલે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
નોંધનીય છે કે આ કેસ વન વિભાગના કર્મચારીઓ પર હુમલો અને ધમકી આપવા સાથે સંબંધિત છે, જેમાં નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટે તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખીને મહત્વનો ચુકાદો આપ્યો છે.
ભરૂચ કોર્ટે ચૈતર વસાવાને 29 જુલાઈએ હાજર રહેવા કર્યો આદેશ
ભરૂચની સ્થાનિક કોર્ટે પોલીસ પ્રશાસનની છબી ખરડવાના અને બદનામી કરવાના નિવેદન બદલ તેમને કોર્ટમાં હાજર થવા તેડું મોકલ્યું છે. આ કેસમાં 23 જૂને હાજર થવા માટે અગાઉ નોટિસ ઈશ્યૂ કરાઈ હતી, પરંતુ તેની બજવણી ન થતાં સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટમાં રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઈ ભરૂચ કોર્ટે ફરી એકવાર નવી નોટિસ કાઢીને ચૈતર વસાવાને આગામી 29 જુલાઈએ કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવા માટે કડક આદેશ કર્યો છે.
ઈસુદાન ગઢવીના સરકાર પર પ્રહાર
ઈસુદાન ગઢવીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે ચૈતર વસાવાને ખોટી રીતે હેરાન કરાય છે. અમે કોઈ નોટિસથી ડરવાના નથી. સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાત ચૈતર વસાવાના સમર્થનમાં છે.
