Gujarat Assembly Election 2022: સાવલીના શેરપુરા ગામે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું છે. બન્ને પાર્ટીના નેતાઓની રેલી આમને સામને આવતા છુટા હાથની મારામારી થઈ હતી. કોંગ્રેસ પક્ષના આશરે સાતથી આઠ જેટલા બાઈકોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. સામસામે ઝંડો અડતા છુટ્ટા હાથની મારામારી થઈ હતી. વાતાવરણ વધુ તંગ ન બને તે માટે SRP ની ટીમ અને સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. SRPની ટીમે અને સાવલી પોલીસે મામલો થાળ પાડ્યો હતો. હાલ બંને ભાજપ અને કોંગ્રેસની રેલીએ પ્રસ્થાન કર્યું હતું.


બીજા તબક્કાના મતદાન પહેલા અમદાવાદની જામા મસ્જિદના શાહી ઈમામે આપ્યું મોટું નિવેદન


અમદાવાદની જામા મસ્જિદના શાહી ઈમામ શબ્બીર અહેમદ સિદ્દીકીએ એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મુસ્લિમો 2012ને યાદ કરવા માટે વોટ્સએપ પર એકબીજાને મેસેજ કરી રહ્યા છે. 2012માં મતોનું વિભાજન થયું અને જમાલપુરમાં ભાજપની જીત થઈ. મુસલમાનોના મનમાં એક વાત છે કે મતોનું વિભાજન ન થવું જોઈએ અને જે જીતવા જઈ રહ્યો છે તેને જીતાડવો જોઈએ.


ઈમામે આમ આદમી પાર્ટી અંગે કહ્યું કે, ગુજરાતમાં ત્રીજા પક્ષને અવકાશ નથી. અગાઉ પણ લોકો આવ્યા હતા પણ જીત્યા નહોતા. ભાજપ સાથે તો  છે જ, જો હવે તમે કોંગ્રેસ સાથે પણ દુશ્મની વહોરી લેશો તો તમારી સાથે  શું થશે? ઓવૈસીના ચાર-પાંચ ધારાસભ્યો જીતશે તો પણ વિધાનસભામાં શું કરશે? યુપીમાં ઓવૈસીની રેલીમાં ઘણી ભીડ હતી, પરંતુ જ્યારે બોક્સ ખોલ્યું તો તે શૂન્ય હતું. ભાજપ સરકાર બનાવશે, પછી તે જીતે કે હારે.


પાદરામાં દિનુમામાનું શક્તિ પ્રદર્શન


બીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે ભાજપમાંથી નારાજ થઈને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોએ પાર્ટી માટે સંકટ ઉભુ કર્યું છે. વડોદરાના પાદરામાં ભાજપમાંથી બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર દિનેશ પટેલે શક્તિ પ્રદર્શન કર્યું છે. ચૂંટણી પડઘમ શાંત થાય તે પૂર્વે જ પાદરામાં મોટું શકિત પ્રદર્શન યોજતા રાજકીય ગરમાવો આવી ગયો છે. દિનેશ પટેલના આયોજનમાં હજારોની ભીડ ભેગી થઈ હતી. પાદરા નગરમાં દિનુમામાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.


આદિવાસી વિસ્તારમાં 10 લાખ વોટ વધુ પડ્યા


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજે પાંચ કલાકે શાંત થઈ જશે. પક્ષો-ઉમેદવારો આજે સાંજથી ડોર ટુ ડોર તેમજ સોશિયલ મીડિયા થકી ઉમેદવારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરશે. પ્રથમ તબક્કામાં થયેલા ઓછા મતદાનને લઈ તમામ રાજકીય પક્ષોની ચિંતા વધી છે. આ દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. છોટા ઉદેપુર ભાજપ જિલ્લા કાર્યાલયની અચાનક મુલાકાતે આવેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું 2017 કરતાં કુલ મત વધારે પડ્યાં છે, આદિવાસી વિસ્તારમાં 10 લાખ વોટ વધુ પડ્યા, અમારી જીત પાક્કી છે.