વડોદરા: રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલમાં તબીબોની ઓપીડીનો સાંજનો સમય ફેરફાર કરવામાં આવ્યો છે. જો આ ફેરફાર તબીબોને પસંદ નથી આવી રહ્યો અને તેઓ તેનો વિરોધ કરી રહ્યા છે. ઓપીડીનો સાંજનો સમય 3થી 5ની જગ્યાએ 4થી 8 કરાતા તબીબો વિરોધ કરી રહ્યા છે. એસ.એસ.જી હોસ્પિટલની મહત્વની 8 ઓપીડીમાં ડોક્ટરોની ગેર હાજરી જોવા મળી.


ડોક્ટરોની ગેરહાજરી દર્દીઓ સવારે 9 વાગ્યાથી ઓપીડી બહાર ભટકી રહ્યા છે. દર્દીઓને ભટકતા છોડી દઇ સવારની 9થી બપોરે 1 સુધીની ઓપીડીમાં પણ ડોક્ટરો ગેરહાજર રહ્યા. એસ.એસ.જી હોસ્પિટલમાં ઓપીડી 10, 11, 12, 13, 14, 15, અને 26માં ડોક્ટર ગેર હાજર રહ્યા. ડોક્ટરોની ગેરહાજરીને કારણે બાળકીને લઈને હોસ્પિટલે  આવેલા પિતાની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેમણે કહ્યું કે, હું આજ હોસ્પિટલમાં સિક્યુરિટીની નોકરી કરું છું, મારી દીકરી બીમાર હોઈ હું સવારથી આવી જ્યાં ત્યાં ભટકી રહ્યો છે. સારવાર માટે કોઇ જ ડોક્ટર હાજર નથી. હવે દીકરીને ખાનગી હોસ્પિટલમાં લઈ જાવ છું. સાવલીથી બાળકને લઈને આવેલો પરિવાર કલાકોથી બાળકીને લઈને ડોક્ટરની રાહ જોઈ રહ્યા છે. હાલમાં મોટી સંખ્યામાં દર્દીઓ અને તેમના પરિવારના સભ્યો  મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.


સરકાર સામે વધુ એક આંદોલનના મંડાણ


ગાંધીનગર: ગુજરાતમાં હાલ આંદોલનનનો માહોલ જોવા મળી રહ્યો છે. શિક્ષકોથી લઈને આરોગ્ય કર્મચારીઓના મંડળોએ સરકાર સામે મોરચો માડ્યો છે. આંદોલનના ચક્રવ્યૂમાં ફસાયેલ રાજ્ય સરકારની મુશ્કેલીઓમાં વધુ વધારો થઈ શકે છે. વિવિધ માંગણીઓને લઈને હવે ચોથા વર્ગના કર્મચારીઓએ પણ સરકાર સામે મોરચ માંડ્યો છે. વિવિધ માગોને લઈને આવતીકાલે ચોથા વર્ગના કર્મચારી ધરણા પ્રદર્શન કરશે. વર્ગ 4ના કર્મચારીઓની નિયમિત ભરતી, જૂની પેંશન સ્કીમ, 7મા પગારપંચના ભથ્થાઓનો લાભ, વય નિવૃત્તિ 60થી વધારી 62 કરવી, વર્ગ ચારના કર્મચારીને કાયમી કરવા સહિતની વિવિધ માંગણીઓને લઈને તેઓ ધરણા પર ઉતરશે.


 ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિની મોટી જાહેરાત


ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા આંદોલન ચાલુ રાખવાનું એલાન કર્યું છે. પ્રશ્નોનો નિકાલ ન આવતા તારીખ 19-09-2022ના રોજ મિટિંગ બોલાવવામાં આવી છે. આગામી કાર્યક્રમો દિલ્હી ખાતે જંતરમંતર પર કરવાનું એલાન કરવામાં આવ્યું છે. જૂની પેન્શન યોજના લાગુ કરવામા, ફિક્સ ભરતીની પ્રથા નાબુદ કરવામાં આવે, સમાન કામ સમાન વેતન, ફિક્સ પગારના છે તેમને પૂરા પગારમાં નિમણૂક આપે તેવી માગ કર્મચારીઓ કરી રહ્યા છે.


તો બીજી તરફ નિવૃત આર્મી જવાનોના આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે નિવૃત્ત આર્મિ જવાનોની બેઠક નિષ્ફળ રહી છે. જેથી નિવૃત્ત આર્મી જવાનોના દેખાવો યથાવત રહેશે. માંગણીઓ સંદર્ભે લેખિત બાંહેધરી ન અપાતા નિવૃત્ત આર્મી જવાનો દેખાવો યથાવત રાખશે. નિવૃત્ત આર્મી જવાનો આવતીકાલે પોતાને મળેલા મેડલ રાજ્યપાલને પરત કરશે.