દાહોદઃ ઝાલોદની અનાસ નદીમાં અસ્થિ વિસર્જન માટે ગયેલા 5 યુવકો તણાયા છે. જેમાંથી એક યુવકનું મોત થયું હોવાના સમાચાર મળ્યા છે. અસ્થિ વિસર્જન કરવા ગયેલા યુવકો નદી પર આવેલા બેટ પર ફસાયા હતા. નદીમાં વહેણ વધતા યુવકો ફસાયા હતા. જેમાંથી પહેલા નદીમાં તણાયો હતો. આ પછી તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા અન્ય ચાર યુવકો પણ તણાયા હતા.


નોંધનીય છે કે, આજે સવારે આ યુવકો નદી પર આવેલા બેટ પર ફસાયા હતા. જોકે, ચાર કલાક સુધી તેમને કોઈ મદદ મળી નહોતી. આ પછી અચાનક પાણીનો પ્રવાહ વધતા અન્ય ચાર યુવકો પણ તણાયા છે.

આજે દાંતામાં વરસાદી ધોધમાં ન્હાવા પડતા ત્રણ યુવકો ડૂબ્યા છે. જેમાંથી એક યુવકનું મોત થયું છે. જ્યારે બે યુવકોની શોધખોળ ચાલું છે. દાંતાના મુમનવાસ પાસે પાણીયારી આશ્રમ પાસેની આ ઘટના છે. યુવકો ડૂબી જતાં સ્થાનિક લોકોએ શોધખોળ હાથ ધરી હતી, જેમાં એક યુવકની લાશ મળી આવી હતી. જોકે, હજુ સુધી બે યુવકો લાપતા છે.

ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે, જેને કારણે અનેક નદી બે કાંઠે વહી રહી છે. આ નદીઓમાં લોકો જીવના જોખમે રસ્તો પસાર કરતા હોવાના અનેક સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે સાબરકાંઠાથી વધુ એક સમાચાર સામે આવ્યા છે. ઈડરના ઝીંઝવા ગામની ભેસકા નદીના ડીપ બ્રિજ પરથી બાઇક તણાયું હતું. પુલ પરથી પસાર થઈ રહેલા બાઇક ચાલકનું બાઇક સ્લીપ થતા બાઇક સવાર નદીમાં તણાયો હતો. જોકે, સ્થાનિક ગ્રામજનોએ બાઇક સવારનો બચાવ કર્યો હતો.