વડોદરાઃ ભાજપે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી એ સાથે અનેક જિલ્લાઓમાં કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી છે. વડોદરા જિલ્લાની ત્રણ બેઠક પર બળવાખોરોએ ભાજપની મુશ્કેલી વધારી છે.


વડોદરાની કરજણ વિધાનસભા બેઠક પર ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અક્ષય પટેલને ટિકિટ આપતા ભાજપના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ નારાજ થયા છે અને અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. જોકે પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલનું કહેવું છે કે આ વખતે તેમને ટિકિટ મળવાની હતી પરંતુ ભાજપે ટિકિટ ન આપતા હવે તો અપક્ષ તરીકે ફોર્મ ભરી મેદાને પડશે સાથે તેમણે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.


2017માં કૉંગ્રેસની ટિકિટ પર લડનાર અક્ષય પટેલ પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા હતા અને પેટા ચૂંટણીમાં કરજણથી ફરી ચૂંટાયા હતા. આ વખતે સતીષ પટેલને આશા હતી કે ભાજપ તેમને ટિકિટ આપશે પરંતુ ફરી અક્ષય પટેલને રિપિટ કરાતા તેમણે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.


આવી જ સ્થિતિ વાઘોડિયા બેઠકની છે. બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાતા તેઓ અપક્ષ લડી શકે છે. તો પાદરા બેઠક પરથી પત્તુ કપાતા દિનેશ પટેલ ઉર્ફ દિનુમામા પણ અપક્ષ દાવેદારી નોંધાવશે. ત્રણ નેતાઓના બળવાખોર તેવરના કારણે રાજેન્દ્ર ત્રિવેદીએ સલાહ આપી હતી કે ત્રણેય નેતાએ વફાદાર રહેવું જોઈએ.


આ સાથે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને પણ ટિકિટ મળી નથી તો પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ ( દીનું મામા ) ને પણ ટિકિટ આપવામાં આવી નથી. ત્રણેય પૂર્વ ધારાસભ્ય અપક્ષ તરીકે મેદાને પડે તેવા સંકેતો મળી રહ્યા છે.


 આ મામલે પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે આ ત્રણેય પૂર્વ ધારાસભ્યોએ પક્ષને વફાદાર રહેવું જોઈએ બળવો કરવો ન જોઈએ કેમકે ભાજપે તેમને ઘણું બધું આપ્યુ છે અને આવનાર સમયમાં પણ આપી શકે છે. જોકે ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે કહ્યું કે મારા વિકાસના કામની નોંધ લઈ પાર્ટીએ મને ટીકીટ આપી છે અને હું જ જીત મેળવીશ.


Gujarat Election: આ બેઠક પર ભાજપમાં ભંગાણ, બે વખત ધારાસભ્ય રહેલા નેતાએ પાર્ટી છોડી અપક્ષ ઉમેદવારી નોંધાવી



નાંદોદ વિધાનસભાની ચુંટણીમા પુર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવાને ટિકિટના મળતા બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. હર્ષદ વસાવાએ મોટી સંખ્યામાં લોકો સાથે સરઘસ કાઢી શક્તિ પ્રદર્શન કરી પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાથે જ બીજેપીના તમામ હોદ્દાઓ પરથી પણ તેમને રાજીનામું મોકલી આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ ગતરોજ પોતાનાં 160 ઉમેદવારની જાહેરાત કરતાં નાંદોદ વિધાનસભા બેઠક માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવતાં પુર્વ સંસદીય સચિવ અને બીજેપી આદિવાસી મોરચાના પ્રમુખ હર્ષદ વસાવાને ટિકિટ ફાળવવામાં ન આવતાં સમગ્ર જીલ્લામાં તેના ઘેરા પ્રત્યાઘાતો કાર્યકરોમાં પડી રહેલા જોવા મળ્યા હતા.