Gujarat Congress: આગામી 2024 લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ કમર કસી રહી છે, કર્ણાટકમાં ભવ્ય વિજય મળતા કોંગ્રેસ નેતાઓ પણ ગેલમાં આવી ગયા છે ત્યારે આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાણી અને વડોદરા કોંગ્રેસના પ્રભારી ભાર્ગવ ઠક્કર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરી કોંગ્રેસને મજબૂત બનાવવાની કોશિશમાં લાગ્યા છે. કર્ણાટકના કોંગ્રેસ તરફના પરિણામની અસર આગામી 2024 ની ચૂંટણી પર દેખાશે તેવો મત જીજ્ઞેશ મેવાણીએ વ્યક્ત કર્યો હતો. જોકે શહેર કોંગ્રેસમાં આંતરિક જુLબંધી ચરમસીમાએ જોવા મળી રહી છે, હાલમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી પાર્ટીના કાર્યક્રમમાં 6 દિવસ શહેર બહાર જતા પોતે જ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાને કાર્યકારી પ્રમુખનો લેખિત પત્ર આપતા ઉપ પ્રમુખ નરેન્દ્ર જયસ્વા એ પુષ્પાબેનને ખોટી રીતે કાર્યકારી પ્રમુખ બનાવવા બદલ ઋત્વિજ જોશી સામે કાર્યવાહીની માંગ કરી હતી. જે બાદ ઋત્વિજ જોશીને પ્રદેશ દ્વારા કારણ દર્શક નોટિસ અપાઈ હતી, તો શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ એ આર.એસ.એસ ના કાર્યક્રમ માં ભાગ લેતા તેમને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા હતા.


શું કહ્યું જીજ્ઞેશ મેવાણીએ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણી વડોદરા કોંગ્રેસ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા. તેમણે કહ્યું, કર્ણાટકના પરિણામો બાદ ગુજરાતમાં પણ ઉજળી તકો છે, 2024 લોકસભાની ચૂંટણી પર કર્ણાટક અને દક્ષિણના રાજ્યોના ચૂંટણી પરિણામની અસર દેખાશે. 2024 ચૂંટણીમાં ભાજપ 400 બેઠક મેળવશે ના કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના નિવેદન મામલે તેમણે કહ્યું, વક્ત આને પર હમ બતા દેગે હમારે દિલ મેં ક્યાં હૈ. અમે બધા શહેરોમાં કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો સાથે ચર્ચા કરી રહ્યા છીએ, શહેરોમાં કોંગ્રેસ વધુ મજબૂત બને તેવા પ્રયાસ કરી રહ્યા છીએ. શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલને સસ્પેન્ડ મામલે નિવેદન આપતાં કહ્યું, કોંગ્રેસમાં લોકશાહી છે, કાર્યકરો પોતાનો મત મૂકી શકે છે, કોંગ્રેસ પાર્ટી કેડર બેઝ પાર્ટી નથી.

વડોદરા કોંગ્રેસના પ્રભારી ભાર્ગવ ઠક્કરે શું આપ્યું નિવેદન


વડોદરા કોંગ્રેસના પ્રભારી ભાર્ગવ ઠક્કરે કહ્યું, કર્ણાટક અને હિમાચલના પરિણામો બતાવે છે કે ભાજપના વળતા પાણી છે. જ્યારે કોંગ્રેસમાં ડખા મામલે નિવેદન આપતાં કહ્યું, કોંગ્રેસની આંતરિક બાબતોમાં પક્ષને નુકસાન થશે તો તેની સામે પગલાં લેવાશે. કોંગ્રેસના કાર્યકરો નાની વાતોમાં  મીડિયામાં જાહેરમાં ન બોલે તે સમજાવીએ છે. કર્ણાટકમાં બજરંગ બલી પર રાજકારણ કર્યું તો પણ ભાજપ હાર્યું, કોંગ્રેસ પણ બજરંગ બલી ને પૂજે છે.