Vadodara:વડોદરાઃ ધારાસભ્ય બન્યા બાદ કેયુર રોકડિયાએ વડોદરાના મેયર પદેથી રાજીનામું આપ્યું હતું. મળતી જાણકારી અનુસાર, ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાના નિયમના કારણે કેયુર રોકડિયાએ મેયર પદેથી રાજીનામું આપ્યું હતુ. ગઇકાલે ધારાસભ્ય દર્શિતા શાહે પણ રાજકોટ ડેપ્યુટી મેયર પદેથી રાજીનામું આપ્યું હતું. કેયુર રોકડિયા સયાજીગંજ બેઠક પર ધારાસભ્ય છે.


વડોદરા અને ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખોએ આજે જ રાજીનામા આપ્યા હતા. સતીષ પટેલની વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અજય બ્રહ્મભટ્ટની ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.


કેયુર રોકડીયાએ મેયર તરીકે માર્ચ 2021માં પદભાર સંભાળ્યો હતો. રાજ્યના 18  જેટલા ધારાસભ્યો પોતે કે પરિવારના સભ્યો કોઈ પદ સંગઠનમાં હોય તો તેમને એક પદ વાળા નિર્ણયમાં સમાવિષ્ટ કરવામાં આવશે.       


કોણ છે કેયુર રોકડિયા


કેયુર રોકડીયા એક શિક્ષીત યુવા નેતા છે, જેમણે મહારાજા સયાજીરાવ યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીમાંથી બી.ઇ સીવીલ અને ત્યારબાદ માસ્ટર્સ સુધીનો અભ્યાસ કર્યો છે. એક શિક્ષીત યુવા નેતા હોવાના અનેકો ફાયદા છે. જેનો સારી રીતે ઉપયોગ કરી શહેરના વિકાસને વેગવંતો બનાવવા મેયર કેયુર રોકડિયા મહદઅંશે સફળ રહ્યાં છે.એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા કેયુર રોકડિયાએ યુવાવસ્થામાં જ રાજનીતિના ડગલા ભરવા માંડ્યા હતા. કોલેજકાળથી ભાજપની વિચારધારાથી કેયુર રોકડિયા ખૂબ પ્રભાવિત હતા.કોલેજકાળમાં વખતના યુવાનેતા ભરત ડાંગરની કામગીરી જોઈ રોકડિયાને પણ રાજનીતિમાં આવવાની ઇચ્છા થતી હતી, દરમિયાન કેયુર રોકડિયાએ ભાજપ જોઈન્ટ કરી સક્રિય રાજનીતિમાં વિધિવત એન્ટ્રી કરી હતી.ભાજપે પણ કેયુર રોકડિયાના ખભે નાનકડી ઉંમરે મોટી જવાબદારી આપી યુવા ભાજપ મોરચાના પ્રમુખ બનાવ્યા હતા.યુવા અવસ્થાનો જોશ અને ભાજપની હિન્દુ વિચારધારાથી પ્રભાવિત કેયુર રોકડિયાએ જમ્મુ કાશ્મીરમાં જઈ યુવા આગેવાનો સાથે કાશ્મીરના લાલ ચોકમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો પ્રયાસ કર્યો હતો તેમજ વંદે માતરમ, ભારત માતાકી જયના નારા લગાવી વિરોધ કર્યો હતો. જોકે કશ્મીરમાં દેખાવ કરનાર કેયુર રોકડિયાની અટકાયત પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યભરમાં યોજાયેલુ સદભાવના મીશન, જેવા સેંકડો કાર્યક્રમોમાં કેયુર રોકડીયાએ સફળતા પૂર્વક પૂર્ણ કર્યાં હતા.જેને કારણે કેયુર રોકડીયાને રાષ્ટ્રીય ફલક પર ચમક્યા હતા અને એ સાથે જ રાજકીય કારકિર્દીએ કરવટ બદલતા કેયુર રોકડીયાની રાજકીય ગાડી સડસડાટ દોડતી થઇ ગઈ હતી. નાની વયે રાજનીતિના બરોબર પાઠ ભણેલા કેયુર રોકડિયાએ યુવા મોરચાના પ્રમુખથી માંડી શહેર ભાજપ સંગઠનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. કેયુર રોકડિયા શહેર ભાજપના મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે, જ્યાં ચૂંટણી રણનીતિની કુનેહ અને કાર્યકરોને એકજૂથ રાખવામાં પણ અસરકારક કામગીરી કરી હતી.