વડોદરા:  તલાટી મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. ગુજરાત પંચાયત પસંદગી મંડળ તથા ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ હવે તલાટીની પરીક્ષામાં ગંભીર છબરડો સામે આવ્યો છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક યુનિટમાં 123 પરીક્ષાર્થીના થમ્બ ઇમ્પ્રેશન નથી લેવામાં આવ્યા.  હસમુખ પટેલે કહ્યું કે, તપાસ માટેના આદેશ આપવામાં આવ્યા  છે. ડમી ઉમેદવારની ચકાસણી માટે અમારી પાસે પૂરતા પુરાવા છે. 


વડોદરામાં એમ એસ યુનિવર્સિટીમાં  લેવાયેલી તલાટીની પરીક્ષામાં ગંભીર ક્ષતિ સામે આવી છે. પરીક્ષામાં 123 ઉમેદવારના થમ્બ ઇમ્પ્રેશન જ લેવાયા ન હતા. પોલિટેકનિક યુનિટમાં 15 પૈકી 8 બ્લોકમાં ગંભીર ક્ષતિ થઈ હોવાનો હવે ખુલાસો  થયો છે.   આ મામલે જિલ્લા કલેકટર અતુલ ગોરે તપાસના આદેશ આપ્યા છે.  આ ઘટનાથી અનેક સવાલો ઉઠે છે કે શું ડમી ઉમેદવારોને પરીક્ષામાં બેસાડવા આવું તરકટ રચાયું હતું કે શું. OMR શીટ પર થમ્બ ઇમ્પ્રેશન કેમ ન લેવામાં આવ્યા તે સૌથી મોટો સવાલ છે. આ મુદ્દે પરીક્ષા કેન્દ્રમાં લાગેલા CCTV કેમેરાથી ક્રોસ વેરીફીકેશન કરવાના આદેશ પણ અપાયા છે.  પરીક્ષા ખંડના CCTVના આધારે ઉમેદવારોનું ક્રોસ વેરિફિકેશન કરાશે. જોકે મહત્વનું છે કે  સમગ્ર મામલે કલેક્ટર અતુલ ગોરે તપાસના આદેશ આપી દીધા છે. 


વડોદરામાં તલાટીની યોજાયેલી પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગે પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે  જણાવ્યું છે કે  વડોદરાની એમ એસ યુનિવર્સિટીના પોલિટેકનિક સેન્ટરમાં આ ઘટના બની છે. 15 વર્ગખંડમાં OMR શિટમાં અંગૂઠાની છાપ લેવાવામાં આવી નહોતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ ધ્યાનમાં આવતા 7 વર્ગખંડમાં અંગૂઠાની છાપ લેવાઈ હતી. કુલ 8 વર્ગખંડના ઉમેદવારોના અંગૂઠાની છાપ લેવાઈ નથી. જો આ કેસમાં ડમી ઉમેદવાર અંગે માહિતી મળશે કે આક્ષેપ થશે તો ચકાસણી માટેના પૂરતા પુરાવા છે. 


ઉમેદવારની સહી અને તેમના લખાણના પુરાવા અમારી પાસે છે.  બોર્ડ પ્રતિનિધિ દ્વારા અંગૂઠાની છાપ લેવામાં નથી આવી. પરીક્ષાના બીજા દિવસે આ બનાવ અંગેની જાણ થઈ હતી. આ બનાવની સંપૂર્ણ તપાસ માટેના આદેશ આપવામાં આવ્યા છે. બોર્ડ પ્રતિનિધિ સામે કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાની ઘટનામાં ગેરરીતિ નહિ પરંતુ બેદરકારી હોય તેવું લાગી રહ્યું છે. બોર્ડ પ્રતિનિધિએ ઉમેદવારોની અંગૂઠાની છાપ લેવાની ના પાડી હતી.