ભારતીય વાયુસેના માટે C-295 એરક્રાફ્ટનું ઉત્પાદન ગુજરાતના વડોદરામાં કરવામાં આવશે. ટાટાએ એરબસ સાથે ડીલ કરી છે જે હેઠળ આ અત્યાધુનિક એરક્રાફ્ટ એરફોર્સ માટે તૈયાર કરવામાં આવશે. સૌથી મોટી વાત એ છે કે અત્યાર સુધી આ એરક્રાફ્ટ ભારતમાં બનતા નહોતા પરંતુ પહેલીવાર ટાટાએ એરબસ સાથે કરાર કર્યો છે જે અંતર્ગત ગુજરાતની ધરતી પર C-295 એરક્રાફ્ટનું ઉત્પાદન કરવામાં આવશે.






આ કરારનો અર્થ શું છે?


આ C-295 એરક્રાફ્ટનું ઉત્પાદન ગુજરાતના વડોદરા ખાતેના પ્લાન્ટમાં કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે આ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. ઉલ્લેખનીય છે કે આ પ્લાન્ટમાં ટાટા અને એરબસ મળીને એરફોર્સ માટે કુલ 40 એરક્રાફ્ટ બનાવશે.






નોંધનીય છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારતે 21 હજાર કરોડ રૂપિયાની ડીલ કરી હતી. તે ડીલ હેઠળ ભારત એરબસ ડિફેન્સ પાસેથી 56 સી-295 એરક્રાફ્ટ ખરીદવા જઈ રહ્યું છે. આમાં 16 એરક્રાફ્ટ સંપૂર્ણ રીતે તૈયાર થઈને ભારતને ઉપલબ્ધ કરાવવાના છે, જ્યારે બાકીના 40 એરક્રાફ્ટનું ભારતમાં ઉત્પાદન થવાનું છે. હવે આ જ 40 એરક્રાફ્ટ ગુજરાતના વડોદરામાં બનાવવામાં આવશે. આનાથી મેક ઇન ઇન્ડિયા યોજનાને પણ વેગ મળશે.






વિમાનની વિશેષતાઓ શું છે?


વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેક ઈન ઈન્ડિયા પર ભાર મુકતા ભારતે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાનો સતત ઉલ્લેખ કરી રહ્યા છે. હવે પહેલીવાર કોઈ વિદેશી કંપની ભારતમાં ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવા જઈ રહી છે. આ એરક્રાફ્ટની વાત કરીએ તો આ એરક્રાફ્ટ મારફતે એક સાથે 71 સૈનિકો અથવા 50 પેરાટ્રૂપર્સને મુશ્કેલ સ્થળોએ સરળતાથી લઈ જઈ શકાય છે. કુદરતી આફતો વખતે પણ આ વિમાનો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં વાયુસેના માટે બચાવ કામગીરી પણ ખૂબ જ સરળ બની શકે છે.