વડોદરાઃ શહેરના પીલોલ રેલવે સ્ટેશન માસ્તરે સફાઇ કામ કરતી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ થતાં ચકચાર મચી ઘઈ છે. યુવતીએ વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે. સ્ટેશન માસ્તરે બળાત્કાર ગુજાર્યા પછી આ અંગે કોઈને જાણ કરશે તો મારી નાંખવાની ધમકી આપી હતી.


આ અંગેની વિગતો એવી છે કે, પીલોલ રેલવે સ્ટેશન પર સફાઇ કર્મચારી તરીકે નોકરી કરતી 19 વર્ષીય યુવતી સાથે બળાત્કારની ઘટના બની છે. લોકડાઉનના 20 દિવસ પહેલા યુવતી રેલવે સ્ટેશન માસ્તરની ઓફિસ પાસે સફાઈ કરી હતી. દરમિયાન રેલવે સ્ટેશન માસ્તર રાજેન્દ્રકુમાર રામચંદ્ર વર્મા આવ્યો હતો અને તે યુવતીનો હાથ પકડી સફાઇનો સામાન રાખવાની ઓફિસમાં લઈ ગયો હતો અને અહીં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી તેણે યુવતીને 100 રૂપિયા આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવતીઐએ રૂપિયા લીધા નહોતા.

આ અંગે યુવતીએ બે દિવસ પછી પતિને જાણ કરી હતી. આથી પતિએ તેને નોકરી પર ન જવા જણાવ્યું હતું. દરમિયાન લોકડાઉન થતાં પતિ-પત્ની વતન જતા રહ્યા હતા. તેમજ તેઓ ગત 13મી જૂને પરત ફર્યા હતા. બીજી તરફ 17મી ઓક્ટોબરે બપોરે સ્ટેશન માસ્તર યુવતી જ્યાં રહે છે, ત્યાં આવ્યો હતો અને યુવતીને ચપ્પુ બતાવીને ધમકી આપી હતી અને ઘરે આવ્યા અંગે કોઈને વાત ન કરવા જણાવ્યું હતું. જોકે, યુવતીએ હિંમત કરીને પતિને વાત કરતાં અંતે રેલવે પોલીસ સ્ટેશનમાં યુવતીએ સ્ટેશન માસ્તર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો ગુનો વધુ તપાસ હાથ ધરી છે. કોરોના ટેસ્ટ પછી આરોપીની ધરપકડ થઈ શકે છે.