વડોદરાઃ   ગુજરાતમા છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે દિવસથી વડોદરા શહેરમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. પૂર જેવી સ્થિતિના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરમાં પાણી ભરાઇ ગયા હતા. જેને કારણે લોકોને કરોડો રૂપિયાનું નુકસાન  થયું હતું. શહેરની સ્થિતિની સમીક્ષા માટે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઇ પટેલ વડોદરા પહોંચ્યા હતા. સ્ટેટ કંટ્રોલ રૂમમાં યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર,પાણી પુરવઠા વિભાગના સચિવ જે પી ગુપ્તા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.


ગાંધીનગર ખાતે વડોદરામાં પૂરની સ્થિતિ અંગે યોજાયેલી સમીક્ષા બેઠક બાદ મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘે જણાવ્યું હતું કે, સરકાર તરફથી પૂરગ્રસ્ત વડોદરા શહેર માટે રૂ. ૧ કરોડ ઘરવખરી માટે અને રૂપિયા ૧ કરોડ કેશડોલ્સ માટે ફાળવવામાં આવ્યા છે. તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા ૨૦ લાખની ખાસ સહાય ફાળવવામાં આવી છે. તેમણે કહ્યું કે, આર્થિક રાહતના ભાગરૂપે કેશ ડોલ્સ રૂપે પુખ્ત વ્યક્તિઓને રૂપિયા 60 , બાળકને ૪૫ રૂપિયા તેમજ ઘરવખરી ગુમાવનારને રૂ.૨૦૦૦ની ચૂકવણી કરવામાં આવશે.

સિંઘે જણાવ્યું કે, હાલમાં શહેરમાં  એનડીઆરએફની ૧૧ અને એસડીઆરએફની ૫ ટીમ યુદ્ધના ધોરણે રાહત- બચાવ કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં ૭,૦૦૦ લોકોનું રેસ્કયૂ તેમજ ૪,૦૧૯થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તે સિવાય તબીબી સહાય માટે ૯૮ આરોગ્ય ટીમ કાર્યરત છે. જિલ્લા વહિવટી તંત્ર અને શહેરની વિવિધ એનજીઓ દ્વારા જરૂરિયાતમંદોને અત્યારસુધીમાં ૧,૬૪,૦૦૦થી વધુ ફૂડ પેકટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે.