વડોદરાઃ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં કોરોના વોરિયર્સને રસી આપવાની કામગીરી દરમિયાન રસી અપાયાના બે કલાકમાં જ એક સફાઈ કર્મચારીનું મોત થયાની ઘટના નોંધાઈ છે. જાણીતી ગુજરાતી વેબસાઈટના અહેવાલ પ્રમાણે, વડોદરાના વોર્ડ નંબર 9માં કામ કરતા સફાઇ કર્મચારી જીજ્ઞેશ સોલંકીનું કોરોનાની રસી મૂક્યાના બે કલાક બાદ મોત નિપજ્યું હતું. સોલંકીના પરિવારજનોએ રસીના કારણે મોત થયાનો આક્ષેપ કરીને સયાજી હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો.


વડોદરાની સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, પ્રાથમિક રીતે કોરોનાની રસીના કારણે મોત થયું હોવાનું જણાતું નથી પણ પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે.

તેમણે કહ્યું કે. મૃતક યુવાને 2016માં હૃદયરોગની સારવાર શહેરની હાર્ટ હોસ્પિટલમાં લીધી હતી અને એન્જિયોપ્લાસ્ટી પણ કરાવી હતી. જો કે તેમણે જે દવાઓ લેવાની હતી તે નહોતી લીધી. તેમના પરિવારે હોસ્પિટલ તંત્ર સામે આક્ષેપ કર્યાં છે તેથી પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિ સ્વૈચ્છિક રીતે જ રસી લે છે અને કોઇને જબરદસ્તી કરવામાં આવતી નથી.

વડોદરા શહેરના વડસર ખાતે આવેલી ઓમ રેસિડેન્સીમાં રહેતા જીજ્ઞેશ પ્રવિણભાઇ સોલંકી વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9માં સફાઈ કર્મચારી તરીકેનું કામ કરતા હતા. તેમનાં મોતથી પત્નિ અને બે પુત્રી નોંધારાં થઈ ગયાં છે.

મૃતક જિજ્ઞેશભાઇનાં પત્ની દિવ્યાબેને આક્ષેપ કર્યો કે, મારા પતિને આજે વોર્ડ નંબર 9ની કચેરીથી જ બારોબાર કોરોના રસી મૂકવા માટે લઇ ગયા હતા. રસી મૂકાયા બાદ તેઓ ઘરે પરત ફર્યાં હતા અને સ્નાન કર્યાં બાદ તેમને અચાનક ખેંચ આવી હતી. તેમનું બોલવાનું બંધ થઈ જતાં તત્કાલિક તેમેને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પણ તેમનું મોત નિપજ્યું હતું.