વડોદરા: સેન્ટ્રલ જેલમાં બે કેદીઓના મોત થતા ચકચાર મચી ગયો છે. એક કાચા કામનો કેદી છે જ્યારે બીજો પાકા કામનો કેદી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ બન્ને કેદીના મોત બીમારીના કારણે થયા છે. સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. રાવપુરા પોલીસ મથકે બંને કેદીના મોત અંગે નોંધ કરાઈ છે. આ ઉપરાંત ACP મેઘા તેવારે સેન્ટ્રલ જેલની મુલાકાત લીધી છે. જેલ અધિકારીઓ પાસેથી બંને કેદીઓનો રેકોર્ડ અને મેડિકલ હિસ્ટ્રી ચેક કરવામાં આવી રહી છે. બંનેની બેરેક અને અન્ય બાબતો અંગે ACP મેઘા તેવારે વિગતવાર માહિતી મેળવી છે.


દિવાળી સુધી કોઈ તબેલા હટાવવામાં નહીં આવે


સુરતઃ માલધારી સમાજના આંદોલનનો સુખદ અંત આવ્યો છે. સમાજના આગેવાનોને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે બાંહેધરી આપી છે. પ્રદેશ પ્રમુખે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી નિર્ણય કર્યો. સી.આર.પાટીલે પોતાની સુરત ઓફિસે એક કલાક સુધી માલધારી આગેવાનો સાથે મિટિંગ કરી. દિવાળી સુધી કોઈ તબેલા હટાવવામાં નહીં આવે. દિવાળી બાદ વૈકલ્પિક વ્યવસ્થા કરી આગળની કાર્યવાહી કરાશે.


સી.આર.પાટીલ દ્વારા સરકારમાં પ્રસ્તાવ મૂકી ડિમોલિશનની કામગીરી બંધ કરાવવામાં આવશે. માલધારી સમાજનું આંદોલન જોઈ સરકાર જાગી હોવાનો મત. સમાજના આગેવાનો અને ધર્મગુરુઓની હાજરીમાં સાંજ સુધી આંદોલન સમેટશે.


માતાએ પ્રેમપ્રકરણમાં સંતાનો અને પ્રેમી સાથે આપઘાત કર્યો હોવાની ચર્ચા
બનાસકાંઠાઃ થરાદની નર્મદા કેનાલમાં પાંચ લોકોના આપઘાતના મામલે હવે વધુ સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે કેનાલમાંથી ત્રણ બાળકોની લાશ મળી આવી હતી. આ પછી સતત શોધખોળ બાદ વહેલી સવારે યુવક-યુવતીનો મૃતદેહ પણ મળી આવ્યો છે. 24 કલાકમાં સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાંથી 5 લોકોના મૃતદેહ બહાર નીકળ્યા.


કેનાલમાં આપઘાત કરવાનું કારણ હજુ અકબંધ છે. મહિલાની સાથે યુવક કોણ છે  અને કેમ કર્યો આપઘાત એ તમામ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પાંચ લોકોના આપઘાતથી થરાદ પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગેની વધુ વિગતો એવી છે કે, થરાદની મુખ્ય નર્મદા નહેરમાં ત્રણ બાળકો સાથે યુવક-યુવતીએ ઝંપલાવ્યું હોવાની નગરપાલિકા ફાયરવિભાગને જાણ કરાતાં પાલિકા ફાયરટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બે કલાકની ભારે શોધખોળ બાદ બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ પછી અન્ય એક બાળકની લાશ પણ મળી આવી હતી. 



સૂત્રો પ્રમાણે,  વાવ તાલુકાની યુવતીએ પોતાના પ્રેમી અને સંતાનો સાથે આપઘાત કર્યો હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. સ્થળ પરથી મળેલા મોબાઈલ પોલીસે જપ્ત કર્યા છે.  ત્રણ બાળકોની લાશ મળ્યા પછી સતત શોધખોળ પછી આજે વહેલી સવારે યુવક-યુવતીની લાશ પણ મળી આવી હતી. સામુહિક આપઘાતના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં આજુબાજુના મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.