Vadodara Congress: બે દિવસમાં વડોદરા શહેર કૉંગ્રેસને ત્રીજો ઝટકો લાગ્યો હતો. મળતી જાણકારી અનુસાર, લોકસભા ચૂંટણી પહેલા વડોદરા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. વડોદરા કોગ્રેસમાં બે દિવસમાં ત્રણ નેતાઓએ કોગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતુ. પ્રશાંત પટેલ અને જયેશ ઠક્કર બાદ હવે અનિલ પરમારે પણ કોગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતુ.               




પૂર્વ કોર્પોરેટર અને 2017માં કોંગ્રેસ તરફથી વિધાનસભાની ચૂંટણી લડનાર અનિલ પરમારે રાજીનામું આપ્યુ હતું. અનિલ પરમારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને રાજીનામું સોંપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના માર્ગ અને હિન્દુત્વ રાષ્ટ્ર તરફની હરણ ફાળથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાવાની વાત કરી હતી. આ ત્રણેય નેતાઓ આગામી 17 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે ભાજપમાં જોડાશે. વડોદરા ખાતે સી.આર પાટીલ ની હાજરીમાં તમામ નેતાઓ ભાજપમાં જોડાશે.                                 




નોંધનીય છે કે ગઇકાલે તાલુકા પંચાયતમાં પક્ષવિરોધી મતદાન કરનાર સામે કોંગ્રેસે કડક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસ પક્ષના આદેશનું ઉલ્લંઘન કરી ક્રોસ વોટિંગ કરનાર ૩૪ સભ્યોને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કડક પગલા ભરતા રાજકારણ ગરમાયું છે. તો બીજી તરફ મતદાનમાં ગેરહાજર રહેનાર ૯ સભ્યોને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. ગારિયાધાર, કલોલ, અબડાસા, લખતર, સરસ્વતી, સિદ્ધપુર, વિસનગર, નડિયાદ, માતર અને મહુવાના સભ્યોને નોટિસ ફટકારવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સપાટો બોલાવતા કોંગ્રેસ પાર્ટીમાં સન્નાટો છવાય ગયો છે.                               


નોંધનીય છે કે તાજેતરમાં જ કચ્છ જિલ્લાની અબડાસા તાલુકાના પંચાયત પર પણ હવે ભાજપનો કબજો થઇ ગયો છે. કોંગ્રેસના ગઢ ગણાતા આ અબડાસા વિસ્તારમાં કોંગ્રેસને જ મોટો ફટકો લાગ્યો હતો. કોંગ્રેસના ત્રણ મોટા નેતાઓએ પલટી મારી અને આ ત્રણેય નેતાઓ ભાજપમાં જોડાઇ ગયા છે.  કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ ગયા છે.