Vadodara elections: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે ભારે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિએ અચાનક પોતાનું ફોર્મ પાછું ખેંચી લેતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસનો આરોપ છે કે આ ફોર્મ પાછું ખેંચાવવા પાછળ ભાજપ, પોલીસ અને ખુદ ચૂંટણી અધિકારીની મિલીભગત છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા બિમલ શાહે ભાજપ સરકાર અને વહીવટીતંત્ર પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે ભાજપના શાસનમાં લોકશાહીની હત્યા થઈ રહી છે અને ચૂંટણી અધિકારીઓ સત્તાધારી પક્ષના ઈશારે કામ કરી રહ્યા છે.

વોર્ડ 2 માં ખેલ પડ્યો, કોંગ્રેસ પ્રમુખે વીડિયો જાહેર કર્યો

ચૂંટણીમાંથી ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. ચોંકાવનારી વાત એ છે કે, આ ફોર્મ ભાજપના નેતા મહાવીરસિંહની હાજરીમાં પાછું ખેંચવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના બાદ વડોદરા કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશીએ એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં આ ઘટના પાછળના રાજકીય ખેલનો પર્દાફાશ કરવાનો દાવો કરવામાં આવ્યો છે.

Continues below advertisement
Continues below advertisement

ચૂંટણી અધિકારીએ જ ફોર્મ ભરી આપ્યાનો કોંગ્રેસનો આરોપ

કોંગ્રેસે વડોદરાના ચૂંટણી અધિકારીની ભૂમિકા સામે પણ મોટા સવાલો ઊભા કર્યા છે. પાર્ટીનો આક્ષેપ છે કે ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવામાં ખુદ ચૂંટણી અધિકારીએ મદદ કરી છે. કોંગ્રેસના કહેવા મુજબ, ફોર્મ પાછું ખેંચવાની આખી પ્રક્રિયા માટેનું ફોર્મ ચૂંટણી અધિકારીએ જાતે ભરી આપ્યું હતું અને ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ પાસે માત્ર તેમાં સહી જ કરાવવામાં આવી હતી. કોંગ્રેસનો સ્પષ્ટ આરોપ છે કે ઉમેદવાર પર સમાજ અને પોલીસનું ભારે દબાણ લાવીને આ ફોર્મ પરત ખેંચાવવામાં આવ્યું છે.

હવે કોઈની દાદાગીરી નહીં ચલાવી લેવાય: બિમલ શાહ

આ ઘટના બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા બિમલ શાહે ભાજપ અને પ્રશાસન પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોને માર મારવામાં આવ્યો છે. બિમલ શાહે કહ્યું કે, "ભાજપના શાસનમાં લોકશાહીની હત્યા થઈ રહી છે, પરંતુ આ વખતે ભાજપને સાચું પરિણામ ખબર પડી જશે. વડોદરા મનપાની ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત છે." તેમણે ચીમકી આપતા ઉમેર્યું કે કોંગ્રેસના કાર્યકરો આ વખતે ચૂંટણીમાં આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં છે અને હવે કોઈપણ પ્રકારની દાદાગીરી બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં.