Farmer: રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોની હાલત એકદમ કફોડી થઇ રહી છે, મોટા ભાગે પાકનું મોટુ નુકશાન વેઠવાનો વારો આવી રહ્યો છે. જોકે, ખાસ વાત છે કે, પાક નુકશાનીના એક કેસમાં હવે તંત્રએ ખેડૂતોને પાક નુકશાનીનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. 


માહિતી પ્રમાણે, વડોદરાના કરચિયાના ખેડૂતોને પાકના નુકસાની બદલ 2.36 કરોડ ચૂકવવાનો IOCLને તંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. 2010માં કરચિયાના ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં, હવે આ મામલે મોટો નિર્ણય સામે આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્રે આ મુદ્દે સુખદ ઉકેલ લાવતાં 26 ખેડૂતોને રાહત આપવાનો મોટો નિર્ણય કર્યો છે. 


વડોદરાના કરચિયાના 26 ખેડૂતોને પાક નુકસાની સંબંધિત 13 વર્ષ જૂના પ્રશ્નનું જિલ્લા વહીવટી તંત્ર નિરાકરણ લાવ્યું છે. આઇઓસીએલે 2010માં બંધ કરેલા 2 નાળાને કારણે પાકને નુકસાન થયું હતું. જે પેટે 2.36 કરોડ રૂપિયા વળતર ચૂકવવા જિલ્લા વહીવટી તંત્રે આઇઓસીએલને આદેશ આપ્યો છે. 26 ખેડૂતોને 5 લાખથી 15 લાખનું વળતર મળશે. 2010માં કરચિયાની સીમમાં રેલવે યાર્ડનાં નાળાં 610 અને 611 બંધ કરાયાં હતાં. આ સ્થળેથી રેલવે દ્વારા ઓઇલના ટેન્કરનું વહન કરાય છે. એટલે ઓઇલ પાણીમાં ભળે નહીં તે માટે આ નાળાં બંધ કરાયાં હતાં અને ઓઇલ કંપનીએ દિવાલ બનાવી હતી. જેને કારણે વરસાદી પાણી આસપાસનાં ખેતરોમાં ફરી વળતાં પાકોને નુકસાન થયું હતું.


આ બાબતે કરચિયા ફાર્મર્સ ક્લબ નુકશાની બદલ વળતર માટે 13 વર્ષથી રજૂઆત કરતું હતું. આ પ્રશ્નના ઉકેલ માટે કલેક્ટર અતુલ ગોરે કમિટીનું ગઠન કરી તેના અધ્યક્ષ તરીકે નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિને નિયુક્ત કર્યા હતા. કમિટીના અહેવાલોને આધારે 2.36 કરોડ વળતર ચૂકવવા ઓઇલ કંપનીને આદેશ કરાયો છે.


 


ગુજરાતમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો 4 લાખથી વધુ લોકોએ લીધો ખોટો લાભ, સરકાર કરશે વસૂલાત


ગાંધીનગર:પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના મામલે મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો ખોટો લાભ મેળવતા ખેડૂતો ઝડપાયા છે. જાણીએ શું છે સમગ્ર કૌભાંડ


પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો ખોટો લાભ મેળવતા ખેડૂતો પકડાતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.પાત્રતા   ન ધરાવતા લોકો પણ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવતા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર રાજ્યમાં 4 લાખ 52 હજાર ખેડૂતો ખરા લાભાર્થી ન હોવા છતાં સહાયની રકમ મેળવી હોવાનુ સામે આવ્યું છે. જો કે હવે સમગ્ર સત્ય સામે આવતા આ રીતે ખોટી રીતે મેળવેલી સહાયની રકમ સરકારને  પરત  આપવી પડશે . ગુજરાતમાં 4.52 લાખ ખેડૂતોએ અંદાજિત રૂ. 16,272,000,000 ખોટી રીતે મેળવી લીધા હોવાનું સાબિત થયું છે. જમીન ધારક્તા અંગેની ચકાસણી કરતાં 4 લાખ 52 હજાર ખોટા લાભાર્થી સામે આવ્યા છે.નોંધનિય છે કે, વર્ષ 2019થી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી. ખેડૂતને મદદરૂપ થવાના આશયથી સરકાર દર 4 મહિને બેંક એકાઉન્ટમાં રૂ. 2 હજાર જમાં કરે છે.વર્ષ 2019માં શરૂ થયેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગુજરાતમાં કુલ 58 લાખ ખેડૂતો નોંધાયા હતા. નોંધાયેલા ખેડૂતોની પાત્રતા ચકાસતા 53.48 લાખ ખેડૂતો સાચા લાભાર્થી તો કરતાં 4 લાખ 52 હજાર ખોટા લાભાર્થી સામે આવ્યાં છે. લેન્ડ સીડિંગ અને E - KYCની ચકાસણીમાં અનેક બાબતો સામે આવી છે. જેમકે મૃત્યુ પામેલા ખેડૂતોના નામે સહાય મેળવતી હોવાનું પણ ખૂલ્યું છે. તો  જમીન વેચી દીધા બાદ પણ સહાય મેળવતા લાભાર્થી ઝડપાયા છે. આ સાથે 7/12 માંથી નામ કમી થઈ ગયા બાદ પણ સહાય મેળવતા ખેડૂતો ઝડપાયા છે. તપાસમાં સમૃદ્ધ હોવા છતાં અને ઈન્કટેકસ ભરતા હોવા છતાં પણ કિસાન સન્માન નિધિ મેળવનાર સામે સરકારે લાલ આંખ કરી છે અને હવે આ તમામ લોકોને પૈસા પરત ચૂકવવા પડશે.