વડોદરાઃ વડોદરામાં કોરોનાના કેસો વધતાં બજારો બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. મંગલ બજાર, પથારા, એમ.જી રોડની 3000 કરતાં વધુ દુકાનો ત્રણ દિવસ બંધ રાખવાના આ નિર્ણય પ્રમાણે દુકાન ખોલનારને 50 હજાર રૂપિયાનો દંડ કરવાનું પણ નક્કી કરાયું હતું. ત્રણ દિવસ સુધી વેપારીઓએ સ્વયંભૂ કડક બંધ પાળ્યો પછી સોમવારથી બજારો ખોલવામાં આવી છે. સાથે જ જે દુકાન ખુલે તેની પાસેથી 50 હજાર નો દંડ વસુલવાનો નિર્ણય લેવાયો હતો તે પાછો ખેંચી લેવાયો છે.


વડોદરામાં ઓ.એસ.ડી ડો. વિનોદ રાવ, ભાજપ શહેર પ્રમુખ ડૉ વિજય શાહ અને સાંસદ રંજનબેન ભટ્ટની વેપારીઓ સાથેની મિટિંગ બાદ વેપારીઓએ સ્વયંભૂ ત્રણ દિવસ બંધ પાળ્યો હતો. રવિવારે આ લોકો સાથે ફરી થયેલી બેઠક પછી આજે બજાર ખુલી ગયા છે. આ નિર્ણય પ્રમાણે મંગલ બજાર ને 2000 દુકાનો, પથારા-એમ.જી રોડની 1000 દુકાનો 3 દિવસ બંધ કરાઈ હતી તે ખોલી દેવાઈ છે. જો કે આજે તમામ બજાર ખુલી જતાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. માસ્ક વગર લોકો બિન્દાસ ફરી રહ્યા હોવાથી કોરોના સંક્રમણ ફેલાવવાની શક્યતા નકારી શકાય નહીં.