વડોદરાઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે વડોદરાના વારસિયા વિસ્તારમાં બંધ મકાનમાંથી વૃદ્ધ માતા અને પુત્રીના મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે. 80 વર્ષીય માતા અને 50 વર્ષીય પુત્રીના મૃતદેહ દુર્ગંધ મારતી હાલતમાં મળ્યા છે. 


માતા તારાબેન પવાર (ઉં.વ. 80) અને દીકરી અરુણાબેન પરવાર (ઉં.વ.50)ની લાશ વારસિયાના સંવાદ ક્વાર્ટર્સના બંધ મકાનમાંથી મળી આવી છે. વારસિયા પોલીસ અને FSLની ટિમો ઘટના સ્થળે પહોંચી છે. 5 થી 6 દિવસ પૂર્વે કોરોનાને કારણે મોત થયું હોવાનું ફોરેન્સિક ઓફિસરનું અનુમાન છે. મૃત્યુના સાચા કારણો જાણવા પોસ્ટમોર્ટમ અર્થે  માતા પુત્રીના મૃતદેહ SSG હોસ્પિટલ ખસેડાયા છે.


સંવાદ ક્વાટર્સ સ્થિત પાર્વતીનગરમાં 161 નંબરના ઘરમાંથી એકલવાયું જીવન જીવતા માતા-પુત્રીના નગ્ન અવસ્થામાં રહસ્યમય રીતે મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઇ હતી. ઘરમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ પહોંચી હતી. પોલીસે મૃતદેહોનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. આ સાથે પોલીસે રહસ્યમય મોત અંગે તપાસનો દોર શરૂ કર્યો છે.


પોલીસે ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે ઘરમાં ટી.વી. અને પંખા ચાલુ હતા. પોલીસે મકાનનો દરવાજો ખોલતાજ મૃતદેહો નગ્ન અવસ્થામાં જોતા ચોંકી ઉઠી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. પોલીસે ડી-કંપોઝ થઇ ગયેલા મૃતદેહોનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. વારસીયા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન રહસ્યમય મોતને ભેટેલા માતા-પુત્રીના બનાવની ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.